સાચને કોઈ આંચ નહીં આવે તે રીતે સંઘપ્રદેશના વિકાસના ટીકાકાર રહેલા સાંસદ ઉમેશભાઈ પટેલને પણ કબૂલવું પડયું કે, દમણમાં રામસેતૂ અને નમો પથ સિવાય પ્રવાસીઓને જોવા માટે બીજું કંઈ નહીં હતું તેમાં પક્ષીઘરનો ઉમેરો થયો છે
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની દશા અને દિશા બદલી નાખી હોવાનું હવે દરેકે માનવું પડે છે. કારણ કે, પ્રશાસકશ્રીની દીર્ઘદૃષ્ટિ અને પહેલના કારણે જ રામસેતૂ અને નમો પથનું નિર્માણ શક્ય બન્યું છે. તેમના કારણે જ ભારતનું સૌથી મોટું પક્ષીઘર મોટી દમણના જમ્પોર ખાતે બની શક્યું છે. દમણને જોડતા લગભગ તમામ માર્ગો વિશાળ બની ચુક્યા છે. આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ દમણમાં રામસેતૂ અને નમો પથ સિવાય બીજું કશું નહીં હતું તેમાં પક્ષીઘરનો ઉમેરો થતાં તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એ કહેવાની ફરજ પડી છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પ્રવાસન ક્ષેત્રે અનેકગણો વિકાસ થયો છે. મોટી દમણના કિલ્લા ઉપર એક લટાર મારી આવો તો ખબર પડશે કે દમણની કેટલી સુંદરતા છે અને કેટલો રમણિય દરિયો છે..!આ પહેલાં દમણના કિલ્લાની હાલત અને સ્થિતિ કેવી હતી તેનું વર્ણન કરવું લગભગ અસંભવ છે. કારણ કે, તે વખતે કિલ્લાની ઉપર ફરવું એટલે મોતને હાથમાં લઈને ફરવા જેવી વાત હતી.
છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, શ્રી જે.પી.નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથ, શ્રીમતી સ્મૃતિ ઈરાની સહિતના અનેક મહાનુભાવોએ દાદરા નગર હવેલી અને દમણ-દીવની અનેક વખત મુલાકાતો લીધી છે અને તેમાં આજે ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની મુલાકાતનો ઉમેરો થયો છે.
છેલ્લા આઠ વર્ષમાં જેટલા પ્રોજેક્ટો કાર્યાન્વિત થયા તેટલા તો પ્રદેશની આઝાદીના 63-70 વર્ષમાં પણ થયા નથી. આ પ્રભાવ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો છે અને જેમના ઉપર અમીનજર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હોવાથી જ પ્રદેશ માટે અસંભવ ગણાતા અનેક કામો સંભવ થયા છે. આ સનાતન સત્ય મારે, તમારે અને દરેકે સ્વીકારવું જ પડે એમાં કોઈ અતિશયોક્તિ નથી.