-
શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિનોબા ભાવે હોસ્પિટલને મળેલું પ્રથમ સ્થાન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની આરોગ્ય સેવાને લોકાભિમુખ અને અસરકારક બનાવવા લીધેલા વ્યાપક પગલાંઓનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
નવી દિલ્હી ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થતાં આયોજીત ‘આરોગ્ય મંથન-3.0’ના ઓનલાઈન કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે બે પુરસ્કારોથી સન્માનિત કરાતા ફરી એકવાર પ્રદેશની આરોગ્ય સેવાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજીત આરોગ્ય મંથન-3.0ના ઓનલાઈન કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગનામાધ્યમથી સંઘપ્રદેશ તરફથી આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસ તથા આયુષ્માન ભારત યોજનાના અધિકારીઓ અને આયુષ્માન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં પ્રથમ પુરસ્કાર સંઘપ્રદેશની શ્રેણીમાં આયુષ્માન યોજના અંતર્ગત સૌથી વધુ હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને મળ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલે 1 ઓક્ટોબર 2020થી 31 ઓગસ્ટ 2021 સમયગાળાના સુધીમાં કુલ 11074 લાભાર્થીઓને લાભાન્વિત કરી શ્રેષ્ઠ પબ્લિક હોસ્પિટલ માટે સંઘપ્રદેશની શ્રેણીમાં હોસ્પિટલને પહેલું સ્થાન મળ્યું હતું.
આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના ભારત સરકારની એક યોજના છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ અને ગતિશીલ નેતૃત્વમાં પ્રદેશમાં આ યોજનાને સફળતાપૂર્વક વર્ષ 2018થી લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રૂપથી કમજોર વર્ગને પાંચ લાખ રૂપિયા સુધીના કેશ રહિત આરોગ્ય વીમો આપવાનો છે. આ યોજના લાગુ કરાયા બાદ ગરીબ અને કમજોર લોકોને હોસ્પિટલમાં ભરતી થવા ઉપર આવતો આર્થિક બોજ કમ થયો છે અને તેમને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની આરોગ્ય સેવાએ અનેકઉપલબ્ધિઓ મેળવી છે. આ ઉપલબ્ધિ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આરોગ્ય વિભાગ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજનાના અધિકારીઓ તથા અન્ય આયુષ્માન મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.