પ્રદેશના સમાજ કલ્યાણ સચિવ પૂજા જૈને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ ટોલ ફ્રી સેવા 14567ની આપેલી વિસ્તૃત જાણકારીઃ ભારત સરકારની ‘વયોશ્રી યોજના’ પણ વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 28
સમાજ કલ્યાણ વિભાગ દમણ, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણનિગમ(એલીમ્કા), વિકાસ ઘટક કાર્યાલય અને આરોગ્ય વિભાગ દમણના સંયુક્ત ઉપક્રમે આજે બે દિવસ માટે આદિવાસી ભવન કલેક્ટર કચેરીની પાછળ મોટી દમણ ખાતે દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો માટે ‘વયોશ્રી યોજના’ હેઠળ મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશના સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય સંબંધિત ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે, જેના માટે આ બે દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં ડોક્ટરો દ્વારા વરિષ્ઠ નાગરિકોની તપાસ કરી તેમનું મૂલ્યાંકન કરાશે. ત્યારબાદ તેમને વ્હીલચેર, ડિજિટલ હિયરીં એડ્સ, ત્રિપાઈ ટેટ્રાપોડ, ચશ્મા, કમોડ સાથે વ્હીલચેર વગેરે નિઃશુલ્ક આપવામાં આવશે.
શ્રીમતી પૂજા જૈને પ્રશાસન દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરેલ વિવિધ યોજનાઓની પણ જાણકારી આપી હતી. તેમણે પ્રદેશના વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરેલ ટોલ ફ્રી સેવા 14567 અંગે જાણકારી આપી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, વૃદ્ધાશ્રમ, કાનૂની અને પેન્શન સંબંધિત મુદ્દો તથા ભાવનાત્મક સહારા માટે પણ તેઓ વાતચીત કરી શકતા હોવાની માહિતી આપી હતી.
આ પ્રસંગે સમાજ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સચિવ શ્રી જતિન ગોયલે પણ ઉપયોગી માહિતીઆપી હતી. આરોગ્ય વિભાગના ડો. મેઘલ શાહે દમણમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી રહેલ વિવિધ સુવિધાની જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આ પ્રકારની શિબિરનું આયોજન દરેક ગ્રામ્ય સ્તરે યોજવા પોતાની લાગણી દર્શાવી હતી જેથી અસહાય વૃદ્ધોની સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ થઈ શકે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ વિભાગના સુશ્રી મોનિકા બારડ, પ્રોગ્રામ ઓફિસર તથા સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી. કાર્યક્રમનું ઉત્કૃષ્ટ સંચાલન ટ્રાયબલ વેલફેર વિભાગના નોડલ ઓફિસર શ્રી સુધીર પાંડેએ કર્યું હતું.
આ પ્રસંગે સિનિયર સિટિઝન કાઉન્સિલ-દમણના આગેવાન અને પૂર્વ મામલતદાર શ્રી ચંદ્રકાંત દલાલ સહિત વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.