પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ હરિશભાઈ પટેલે દાનહ અને દમણ-દીવના 2000 જેટલા પરિવારોનો 14મી એપ્રિલ સુધી સંપર્ક પૂર્ણ કરી મોદી સરકાર દ્વારા તેમના લોક કલ્યાણ માટે થઈ રહેલા કામોની જાણકારી આપવાનો પ્રગટ કરેલો વિશ્વાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આજે ભાજપના સ્થાપના દિવસના ઉપલક્ષમાં ભાજપના રાષ્ટ્રીય ઓબીસી મોર્ચાના દ્વારા આજથી શરૂ કરાયેલા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચાએ પણ દાભેલથી અભિયાનની શરૂઆત કરી છે.
સંઘપ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલના નેતૃત્વમાં ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનમાં દાભેલના ઓબીસી સમુદાયના ઘરે ઘરે જઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકારે કરેલા કલ્યાણકારી કામોની જાણકારી આપવામાં આવી રહી છે.
આજે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને આસામ રાજ્યના ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, ઓબીસી મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મંત્રી શ્રી જીજ્ઞેશપટેલ સહિત ઓબીસી મોર્ચાની પ્રદેશ અને જિલ્લાની ટીમ પણ અભિયાનમાં જોડાઈ હતી.
આ પ્રસંગે ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય અને ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, પહેલાની સરકારો ફક્ત ઓબીસી સમાજને એક વોટ બેંકના રૂપમાં ઉપયોગ કરતી હતી. જ્યારે ભાજપ જ એક એવો પક્ષ છે અને મોદી સરકારમાં સૌથી વધુ ઓબીસી સમુદાયના મંત્રીઓ છે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, આજે ગાંવ ગાંવ ચલો, ઘર ઘર ચલો અભિયાનની શરૂઆત શ્રી હરિશભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશમાં થઈ છે. ભાજપ સરકાર અંત્યોદય અને સંકલ્પથી સિદ્ધિમાં વિશ્વાસ કરે છે અને તેના માટે પ્રતિબધ્ધ છે. સમાજના પછાત વર્ગ માટે 2014 પછી ઐતિહાસિક કામો થયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં આ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રદેશ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ પ્રદેશના લગભગ 2000 જેટલા પરિવારોનો સંપર્ક આગામી 14મી એપ્રિલ સુધી કરી આ અભિયાનને સો ટકા સફળબનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સાથે પ્રદેશમાં પણ ઓબીસી સમુદાયના કલ્યાણ માટે અનેક કામો થયા છે.