-
કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીની મુલાકાતથી ઉપસ્થિત ગામલોકોમાં આવેલી નવી ચેતના અને આકાંક્ષાઃ પ્રશાસનના બદલાયેલા અભિગમની પ્રતિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 03
રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં દમણના ગ્રામ પંચાયતોમાં આઝાદીના અમૃત મહોત્સવ, જલ જીવન મિશન તથા સ્વચ્છતા પખવાડાના સંદર્ભમાં ગ્રામસભાના આયોજન સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જલ-જીવન મિશનના કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
દમણના કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવતે કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર કેટલીક ગ્રામ પંચાયતોમાં પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામસભા અને જીવંત પ્રસારણના કાર્યક્રમનું મોનિટરિંગ પણ કર્યું હતું. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નવી ચેતના અને આકાંક્ષા પણ જોવા મળી હતી. કારણ કે, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને બીડીઓ જેવા અધિકારીઓ કોઈપણ પ્રકારની સૂચના વગર ગ્રામસભામાં ઉપસ્થિત રહેતા ગ્રામજનોમાં પણ પ્રશાસનના બદલાયેલા અભિગમની પ્રતિતિ થઈ હતી.
દમણના જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, ડેપ્યુટી કલેક્ટર શ્રી અપૂર્વ શર્મા, મામલતદાર શ્રી સાગર ઠક્કર, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ દાભેલ, પરિયારી અને દમણવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી.
દાભેલ ખાતે સરપંચ શ્રીમતી હેમાક્ષી પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી ડો. ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવત અને તેમની ટીમનું અભિવાદન કર્યું હતું.
પરિયારી ખાતેસરપંચ શ્રીમતી પંક્તિબેન પટેલ તથા જિ.પં.સભ્ય શ્રીમતી ઈશુબેન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, ડેપ્યુટી કલેક્ટર શ્રી અપૂર્વ શર્મા, મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને નિહાળ્યું હતું.
જ્યારે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવતે પોતાના ટૂંકા વક્તવ્યમાં ગ્રામજનોને પાણીનું મહત્ત્વ અને પાણી બચાવવાના ઉપાયો સહિત સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા.