September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવવલસાડવાપીસેલવાસ

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

< ફાઉન્‍ડેશનના સ્‍થાપક અને સ્‍વપ્નદૃષ્‍ટા વ્રજ પટેલે રસાળ શૈલીમાં આપેલું મનનીય માર્ગદર્શન
< માહ્યાવંશી સમાજના આગેવાનોએ યુવાનો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા શરૂ કરેલા પ્રયાસની ચોમેરથી પ્રશંસા
< દમણમાં પણ આઈ.એ.એસ., આઈ.પી.એસ. માટે કોચિંગ ક્‍લાસ શરૂ કરવા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલ અને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીએ બતાવેલી તૈયારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 03
મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન આઈ.એ.એસ. એકેડેમી, મુંબઈ દ્વારા વાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉમરગામ, પારડી અને વલસાડના માહ્યાવંશી સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન આઈ.એ.એસ. એકેડેમીના સંચાલક અને સ્‍વપ્નદૃષ્‍ટા શ્રી વ્રજ પટેલે પોતાની રસાળ શૈલીમાં આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી ભારત સરકારની સર્વોચ્‍ચ સેવાથી લઈ રાજ્‍ય સરકારની અધિકારી કક્ષાની ભરતી માટેની પધ્‍ધતિ ઊંડાણથી સમજાવી હતી અને સમાજના શિક્ષિત યુવાનોને લગનની સાથે મહેનત કરીસ્‍પર્ધાત્‍મક પરીક્ષા પાસ કરવા પ્રેરિત કર્યા હતા.
માહ્યાવંશી સમાજના આગેવાન શ્રી સુરજ જબરા, શ્રી રમેશભાઈ દાબુલકર, શ્રી અમ્રતભાઈ પટેલ-કડૈયા, શ્રી અશ્વિનભાઈ મિષાી-વાપી ગીતાનગર, શ્રી રાકેશભાઈ હજારે, શ્રી ભરતભાઈ પટેલ જેવા શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિ માટે તત્‍પર મહાનુભાવોએ આ કાર્યક્રમને સમાજ સુધી પહોંચાડવા પોતાના તન મન અને ધનનું બલિદાન આપ્‍યું હતું.
શ્રી વ્રજ પટેલે આવતી કાલ તા.4થી સપ્‍ટેમ્‍બરથી દહાણું ખાતે દહાણું નગર પરિષદના સૌજન્‍યથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે શરૂ થઈ રહેલ કોચિંગ ક્‍લાસની પણ માહિતી આપી હતી અને તેમાં જોડાઈ માર્ગદર્શન મેળવવા પણ હાકલ કરી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનની પ્રવૃત્તિને બિરદાવી હતી અને આ પ્રકારનો પ્રયોગ દમણ ખાતે કરવા પણ તેમણે પોતાનો મત રજૂ કર્યો હતો.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દમણના શિક્ષિત યુવાનો પાસે બધી સ્‍કિલ છે. પરંતુ તેમને જરૂરી માર્ગદર્શનની જરૂરત છે જે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના શ્રી વ્રજ પટેલ દ્વારા પૂર્ણ થઈ શકે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વિશ્વ વિભૂતિ ડો.બાબાસાહેબ આંબેડકરનું દૃષ્‍ટાંત આપતાં જણાવ્‍યું હતું કે, તેઓ આજે પોતાના જ્ઞાનના કારણે પૂજનીય બન્‍યા છે. તેમને અભ્‍યાસ માટે ભારે તકલીફનો સામનો કરવા પડયો હોવા છતાં તેઓ પોતાના લક્ષને વળગી રહ્યા હતા. તે રીતે માહ્યાવંશી સમાજના યુવાનો પણ પોતાના લક્ષને વળગી તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે એવી અપીલ કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો દમણવાડા ગ્રામ પંચાયત ખાતે પણ યોજવા શ્રી મુકેશ ગોસાવીએ પોતાની તત્‍પરતા દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ દમણિયાએ જણાવ્‍યું હતું કે, પોર્ટુગીઝ શાસનના સમયમાં અમારી પાસે ભણવાના બહુ ઝાઝા વિકલ્‍પો નહીં હતા. તેથી માંડ માંડ અમે લખતા વાંચતા શીખી શક્‍યા છીએ. પરંતુ હવે પરિસ્‍થિતિ બદલાઈ છે. તેથી વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનને આત્‍મસાત કરવા કોઈ કસર બાકી નહીં રાખવી જોઈએ એવી સલાહ આપી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દહાણુંના સર્વોદય કાર્યકર શ્રી સંજયભાઈ પટેલે પોતાની આગવી છટામાં જણાવ્‍યું હતું કે, દેશમાં સરકારી નોકરીની તકો ઘણી ઓછી છે. તેથી નોકરીવાંચ્‍છુ નહીં પરંતુ નોકરીદાતા બનવા તેમણે આહ્‌વાન કર્યું હતું. દહાણુંના આદિવાસી યુવાનોના જીવનમાં આવેલા પરિવર્તનને પણ તેમણે દૃષ્‍ટાંત સાથે સમજાવ્‍યું હતું. તેમણેકુરકુરેનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, આ પ્રકારના ઉત્‍પાદનો આપણે બનાવી તેને કેમ વેચી નહીં શકીએ? આ પ્રકારના ઉત્‍પાદનોમાં નફાનું પ્રમાણ પણ ખુબ જ ઊંચું રહે છે. તેમણે ધંધાકીય પ્રવૃત્તિને પણ પ્રોત્‍સાહન આપવા સમજાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત યુવાનો અને વાલીઓએ કરેલા પ્રશ્નોના ઉત્તર પણ શ્રી વ્રજ પટેલ દ્વારા આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના એક્‍ટિંગ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ કોષાધ્‍યક્ષ અને આગેવાન શ્રી વસંતભાઈ પરમાર, શ્રી મહેન્‍દ્રભાઈ તાંબેકર, શ્રી દિપકભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી ઈશ્વરભાઈ એલ. રાઠોડ-ગામ ભામટીએ કર્યું હતું. સ્‍વાગત વક્‍તવ્‍ય માહ્યાવંશી સમાજના આગેવાન શ્રી અમ્રતભાઈ રાઠોડ-કડૈયાએ કર્યું હતું. આભાવિધિ કાર્યક્રમના સંયોજક એવા શ્રી સુરજભાઈ જબરા તથા શ્રી રમેશભાઈ દાબુલકરે આટોપી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment