April 28, 2024
Vartman Pravah
તંત્રી લેખ

સંઘપ્રદેશમાં સત્તાધારી પક્ષના સાંસદ બનો કે, વિરોધ પક્ષના સાંસદ રહો, પરંતુ કાયદાના રાજને માન આપવું જ પડશે

  • કેન્‍દ્રમાં મોદી સરકારના આગમન થયા બાદ તેમણે ભય અને ભ્રષ્‍ટાચારમુક્‍ત પ્રશાસન આપવા શરૂ કરેલી કવાયતના ભાગરૂપે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયની પણ રહેતી સીધીનજર

  • ભૂતકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સાંસદોનો રૂઆબ સુપર સી.એમ.થી ઓછો પણ નહીં રહેતો, કારણ કે પ્રશાસક, સાંસદ અને પોલીસ અધિકારીઓની તિકડીને પ્રદેશને લૂંટવાની છૂટ મળતી હતી

લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી ગઈકાલે કોઈપણ પ્રકારના અનિચ્‍છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પ્રદેશના પોલીસ તંત્ર અને પ્રશાસને રાહતનો દમ લીધો હતો. ચૂંટણીનું પરિણામ 2 નવેમ્‍બરના મંગળવાર સુધી તમામ રાજકીય પક્ષો અને નેતાઓના જીવ ઉચાટમાં રહેશે. પરંતુ આ ચૂંટણીના પરિણામથી રાષ્‍ટ્રીય કે પ્રદેશ સ્‍તરે કોઈ મોટો ફરક પડવાનો નથી.
કેન્‍દ્રમાં મોદી સરકારના આગમન થયા બાદ તેમણે ભય અને ભ્રષ્‍ટાચારમુક્‍ત પ્રશાસન આપવા શરૂ કરેલી કવાયતના ભાગરૂપે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયની પણ સીધી નજર રહે છે અને વ્‍યવસ્‍થામાં પરિવર્તન કરતા કેન્‍દ્ર સરકાર જરીકનો પણ વિલંબ કરતી નથી. જેના કારણે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ પણ જવાબદાર બનવા પામ્‍યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરીએ તો ભૂતકાળમાં અહીં સાંસદ તરીકે ચૂંટાતા સાંસદો પોતાને સુપર ચીફ મિનિસ્‍ટરથી કમ નહીં સમજતા હતા. ફક્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવ જ નહીં, પરંતુ લક્ષદ્વીપમાં પણસાંસદનો આવો જ દબદબો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિધાનસભા નહીં હોવાથી અહીં ચૂંટાતા સાંસદો જ લોકસભા કે સરકાર સમક્ષ પ્રદેશની રજૂઆત કરી શકતા હતા. આ પ્રદેશના પ્રશાસક તરીકે સિનિયર આઈ.એ.એસ. અધિકારીની નિયુક્‍તિ થતી હોવાના કારણે આઈ.એ.એસ. અધિકારીઓને સાંસદનો ડર રહેતો હતો. જેના કારણે પ્રદેશના સાંસદો, પ્રશાસક અને કેટલાક ગણ્‍યાગાંઠયા આગેવાનોની એક ટોળકી બનતી હતી અને પ્રદેશના વિકાસ માટે આવતા નાણાંથી માંડી બીજા અનેક તિકડમથી દર વર્ષે કરોડો રૂપિયા ઓહિયા કરી જતા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સાંસદોને લાલ લાઈટવાળી ગાડી અને સિક્‍યુરીટી ગાર્ડ પણ પ્રશાસન દ્વારા તૈનાત કરાતા હતા. સરકારે લાલ લાઈટની સુવિધા ખતમ કર્યા બાદ સિક્‍યુરીટી ગાર્ડ આપવાની સિસ્‍ટમ પ્રશાસને બંધ કરી નાંખી છે. કારણ કે સાંસદને કોઈપણ કારણ વગર સિક્‍યુરીટી ગાર્ડની સુવિધા મળે એવા કોઈ નીતિ-નિયમો જ નથી.
હવે ચૂંટણીના પરિણામ આવ્‍યા બાદ પ્રશાસનની વ્‍યવસ્‍થામાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ભારત સરકાર અને પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હપ્તાખોરી, ખંડણી કે અસામાજિક પ્રવૃત્તિ બર્દાસ્‍ત કરવાનું નથી. આ પેટા ચૂંટણીમાં ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત વિજેતા બને કે કોંગ્રેસના શ્રીમહેશ ધોડી કે શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર વિજયી બની સાંસદ બને, પરંતુ હવે પ્રશાસનનું માળખું નીતિ-નિયમોની બહાર ભાગ્‍યે જ જશે તે વિજેતા ઉમેદવારોએ પણ જાણી લેવું પડશે. સત્તાધારી પક્ષના સાંસદ બનો કે, વિરોધ પક્ષના સાંસદ રહો, પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાયદાના રાજને માન આપવું જ પડશે.
સોમવારનું સત્‍ય
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 15 જુલાઈ, 1995થી 25 જૂન, 1998 સુધી પ્રશાસક તરીકે રહેલા શ્રી એસ.પી.અગ્રવાલના કાર્યકાળમાં સાંસદો ધારે તે કામ થઈ જતું હતું અને તેઓ બોલે તે કાયદો પણ બની જતો હતો. રમેશ નેગીના ટૂંકા કાર્યકાળમાં સાંસદો અને રાજકારણીઓની લીલા થોડા અંશે સંયમમાં રહી હતી. પ્રદેશમાં સાંસદ, પ્રશાસક અને પોલીસ અધિકારીઓની બનતી તિકડીથી ભૂતકાળમાં ઘણાં નિર્દોષોને પણ જેલની હવા ખાવી પડી હતી. પરંતુ હવે આ સમય સમાપ્ત થયો છે અને જેઓ ખોટું કરે છે તેમને દંડ થાય એવી નીતિ-રીતિ અમલમાં આવી છે.

Related posts

દાનહ અને દમણ-દીવનું વિલીનીકરણ થવાથી વધુને વધુ વિકસીત બનવાની સાથે શિક્ષિત અને સુસંસ્‍કૃત પણ થઈ રહ્યુ છે

vartmanpravah

દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓને અભણ રાખવા કયા નેતાએ રચેલું ષડ્‍યંત્ર..?: 2011-’12માં સેલવાસ કોલેજનો શા માટે કરેલો વિરોધ..?

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

Leave a Comment