દમણ-દીવના વિદ્યુત વિભાગને નુકસાનમાંથી બહાર કાઢવા જે તે સમયે પાવરની ચોરી કરતા એકમો, એક જ મીટર ઉપર ચાલીઓમાં પણ કનેક્શન આપતાં ચાલમાલિકો તથા વીજ ચોરી કરતા ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકો ઉપર પગલાં લેવા ચલાવેલ અભિયાન અને વીજ ચોરીરોકવા ઈલેક્ટ્રોનિક મીટરો બેસાડવા કરેલા પ્રયાસનો વિરોધ પણ હાલના સાંસદ ઉમેશભાઈ પટેલના સંગઠને જ કર્યો હતો અને આ પરિસ્થિતિમાંથી વિદ્યુત વિભાગને છૂટકારો અપાવવા ભારત સરકારે વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કર્યું હોવાની શક્યતા પણ નકારી નહીં શકાય
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે શનિવારે રૂબરૂ અને અન્ય ગ્રામ પંચાયતોમાં યોજાયેલ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગતની ગ્રામસભામાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વર્તમાન સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બંધારણના 73મા અને 74મા સંશોધન અંતર્ગતની સુવિધાઓ પંચાયતી રાજની સંસ્થાઓને નહીં આપવામાં આવતા હોવાનો આક્રોશ રજૂ કરી જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં રહેતા લોકોને ઉશ્કેરવાનો જાગૃત પ્રયાસ કર્યો છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે એ નહીં જણાવ્યું કે, ચૂંટાયેલી પાંખ પાસેથી સત્તા આંચકવાનો આરંભ 2009થી તત્કાલિન કોંગ્રેસ સરકારના શાસન કાળ દરમિયાન થઈ ચુક્યો હતો. જે તે વખતે પંચાયતો અને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર હતો. પંચાયતી રાજની સંસ્થાઓ ઉપર સીબીઆઈની તપાસ પણ તે સમય દરમિયાન જ થઈ હતી.
વર્તમાન પ્રશાસને ગ્રામ પંચાયતોના સરપંચોને રૂા.5 લાખ સુધીના ખર્ચ કરવાની સત્તા આપી છે. જેમાં કેટલીક વહીવટી ત્રુટીઓ આવી રહી છે તેને દૂર કરવાના પ્રયાસો પણપ્રશાસન દ્વારા થઈ રહ્યા છે અને હવે બાકી રહેલા ગ્રામ પંચાયતોના 6-8 મહિનાના સમયગાળામાં ગ્રામ પંચાયતો દ્વારા પોતાના વિસ્તારોમાં લોકોની જરૂરિયાત પ્રમાણેના નીતિ-નિયમોની મર્યાદામાં રહીને કામ થઈ શકશે એવું વાતાવરણ પણ બની રહ્યું છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દમણ-દીવના વિદ્યુત વિભાગની ખુબ જ પ્રશંસા કરી તેમની લોકાભિમુખ કાર્યપ્રણાલી ઉપર મહોર પણ મારી છે. પરંતુ સાંસદ શ્રી એ ભૂલી ગયા કે ભૂતકાળમાં તેમના સંગઠન દ્વારા જ વિદ્યુત વિભાગના તત્કાલિન એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એમ.આર.ઈંગ્લેને ભ્રષ્ટાચારી કહી તેમના વહીવટની ઘોર નિંદા કરી હતી. હકીકતમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એમ.આર.ઈંગ્લેએ નુકસાનમાં જઈ રહેલા દમણ અને દીવ વિદ્યુત વિભાગની કાયાપલટ કરવા સફળ રહ્યા હતા. તેમણે વિદ્યુતની ચોરી કરતા એકમો અને ડોમેસ્ટિક ગ્રાહકો ઉપર અસરકારક પગલાં ભરતા તે વખતે આવા તત્ત્વોના હામી બની ઈલેક્ટ્રીક વિભાગનો વિરોધ કર્યો હતો અને લગાવેલા નવા મીટરો સામે શંકા પણ પેદા કરી હતી. આ બધા લગાવવામાં આવેલા આરોપોના કારણે જ વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
અત્રે યાદ રહે કે, ચૂંટણી દરમિયાન શ્રી ઉમેશભાઈ પટેલે આપેલા વાયદાઓ છ મહિનામાં હવાઈ ગયા છે.તેમના ટેકેદારો પણ હવે શ્રી ઉમેશભાઈ પટેલથી દૂર ભાગવાની કોશિષ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. તેની સામે હવે ફરી પોતાનો જનાધાર પ્રાપ્ત કરવા શ્રી ઉમેશભાઈ પટેલ આયોજનપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે, જેમાં સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતી વાપરી પંચાયતી રાજને અસરકારક બનાવવા પ્રયાસ કરવો જોઈએ એવી લોક લાગણી પણ દેખાય છે.
સોમવારનું સત્ય
એક સમયે ગુજરાતની ગ્રામ પંચાયતો સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની ઈર્ષ્યા કરતી હતી. કારણ કે, દમણ-દીવ અને દાનહના સરપંચો ખુબ જ શક્તિશાળી હતા અને લોકોની માંગણી પ્રમાણેના કામો પોતાની પંચાયતમાં કરતા હતા. જિલ્લા પંચાયતના અધ્યક્ષોની સત્તા રાજ્યમંત્રીની બરાબર હતી. લાલ ગાડીમાં સાયરન વગાડીને ગુજરાતના ગામમાં પણ આંટાફેરા મારી આવતા હતા. તેની સામે હવે ગુજરાતના સરપંચો ખુબ પાવરફૂલ બન્યા છે, ગુજરાતના જિલ્લા અને તાલુકાના પ્રમુખો પણ શક્તિશાળી થયા છે. તેની સામે દમણ-દીવ અને દાનહના સરપંચો અને જિ.પં. સભ્યો ખુબ જ વામણા લાગે છે..!