-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગરીબોના આર્થિક ઉત્થાન અને છેવાડેના લોકોને બેઠા કરવાની નીતિના ભાગરૂપે તમામ યોજના સમયમર્યાદામાં પૂર્ણ કરવા આપેલા દિશા-નિર્દેશ
-
જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના વડપણ હેઠળ મળેલી બેઠકમાં જિ.પં.ના સભ્યો અને સરપંચોને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજનાના લાભ અંગે આપવામાં આવેલું જ્ઞાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અનેસ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસેમ્બર, ર0ર1 સુધી પૂર્ણ કરવા આપેલા દિશા-નિર્દેશ મુજબ આજે જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસે સેલવાસ સચિવાલયના સભાખંડમાં જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોની એક બેઠક બોલાવી હતી અને તેમા જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજનાના લાભ વિશે તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જ્ઞાન આપ્યું હતું અને દરેક ગ્રામ પંચાયતમાં લાભાર્થીઓ સાથે મિટીંગનું આયોજન કરવા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા ગરીબોના આર્થિક ઉત્થાન અને છેવાડેના લોકોને બેઠા કરવા માટે ચિંતિત રહે છે. આ કડીમાં આજે જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસે બોલાવેલી બેઠકમાં દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન તથા જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસે કોવિડ-19ની રસી અંગે તમામ ગ્રામજનોને માહિતગાર કરવા અને વધુમાં વધુ ગ્રામજનો લાભ ઉઠાવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવા તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને અપીલ કરી હતી અને ભારત સરકારની યોજના ઈ-શ્રમિક અંતર્ગત લઘુ ઉદ્યોગના કારીગરો,મજૂરો, ખેતી કામના મજૂરો, બેરોજગાર વગેરેને ઈ-શ્રમિક પોર્ટલ પર એમની નોંધણી અંગે તમામ ગ્રામજનોમાં જાગૃતિ લાવી તેમની આ મંચ પર નોંધણી થાય તેની તકેદારી રાખવા પણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને નિર્દેશ આપ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દાદરા નગર હવેલીના જરૂરિયાતમંદ બહુમતી આદિવાસીઓના જીવન ધોરણને બદલવા પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે.
આ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી ચાર્મી પારેખ, દાનહ જિ.પં.ના સી.ઈ.ઓ,ખાનવેલના ડેપ્યુટી કલેક્ટર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.