સેલવાસ, તા.25
સેલવાસ નગર પાલિકા દ્વારા પંચાયત માર્કેટના વેપારીઓને સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત પંદર દિવસની અંદર દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી છે. જે સંદર્ભે પંચાયત માર્કેટ એસોસિએશનના સભ્યો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે પાલિકા દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે એ અમને મળી છે જેમા પંચાયત માર્કેટના દરેક દુકાનદારોએ પોતપોતાની દુકાન 15 દિવસના અંદર ખાલી કરવા સૂચિત કરવામા આવ્યું છે. જે સંદર્ભે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આપ જે નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. એના માટે અમને કોઈ તકલીફ નથી. આપ બનાવો પરંતુ એના માટે અમને કમસેકમ છ મહિનાનો સમય આપવામા આવે અને સરકાર દ્વારા અગાઉ જે જગ્યા પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને તે ખાલી છે એવી જગ્યા પર અમને દરેક વિસ્થાપિતોને જગ્યા આપવામાં આવે અને સાથે જે નવો પ્રોજેક્ટ પંચાયત માર્કેટમાં બનાવવામાં આવનાર છે. એની અંદર અમને દરેકને પ્રોજેક્ટ તૈયાર થયા બાદ પુનઃસ્થાપિત કરવામા આવે.કારણકે પંચાયત માર્કેટમાં દરેક નાનામોટા વેપારીઓ બેરોજગાર બની જશે.
પ્રોજેક્ટ કેટલા દિવસમાં તૈયાર થશે એ પણ અમને ગેરંટીઆપવામા આવે અને જેની દુકાનો છે તેઓને આપવામા આવે અગર તે ના રહે તેઓના વારસદારોને આપવામા આવે. આ સંદર્ભે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામા આવે તો મહેરબાની થશે.
કારણ કે દરેક વેપારી દુકાન હોવા છતાં પણ રોડ ઉપર આવી જશે જેથી આપને વિનંતી છે કે અમને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે. વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ ચીફ ઓફિસરે આશ્વાસન આપ્યું હતું કે, જે કોઈની માલિકીની દુકાન હશે તેઓને અવશ્ય દુકાન મળશે અને જ્યાં સુધી નવો પ્રોજેક્ટ નહી બની જાય ત્યાં સુધી હાલમાં આપના માટે વૈક્લ્પિલ વ્યવસ્થા માટે મીની બસ સ્ટોપ સ્ટેન્ડની જગ્યા અથવા તો ડોકમરડી કોલેજની બાજુમાં ખુલ્લી જગ્યા પર ફાળવી આપવાની ખાતરી આપી હતી.