-
‘જેમના જીવનમાં ગુરુ જ નથી તેમનું જીવન સાર્થક નથી’ : કથાકાર મેહુલભાઈ જાની
-
કથામાં પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘ તથા દમણ ઈન્ડ.એસો.ના પ્રમુખ પવન અગ્રવાલે પણ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25
મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથામાં આજે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ બાર જ્યોર્તિલીંગની કથાનો આરંભ કર્યો હતો. તેમણે ચંદ્રને તેમના સસરા દક્ષ પ્રજાપતિએ આપેલા શ્રાપના નિરાકરણ માટે લીધેલા શિવના શરણની કથા ખુબ જ ભાવવાહી રીતે વર્ણવી હતી અને પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથની કથા સંભળાવી હતી.
કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ભોલેનાથ શિવ શંકર જ એક એવા ભગવાન છે કે જેમના પરિવારના દરેક સભ્યની પૂજા થાય છે.તેમણે જીવનમાં ગુરુનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જેમના જીવનમાં ગુરુ જ નથી તેમનું જીવન સાર્થક નથી, મા-બાપને ક્યારેય ભૂલશો નહીં.
શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, મહાદેવને શ્રવણ, મનન અને કિર્તી અતિ પ્રિય છે. જેઓ જીવનમાં શિવજી ઉપર શ્રદ્ધા રાખે છે તેમનો હંમેશા બેડો પાર થાય છે. જેમણે ભૂલ સ્વીકાર કરી છે તેમનું જીવન સાર્થક થાય છે અને તલવારની ધારથી વધુ તેજ જીભની ધાર હોય છે.
આજે સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંઘ અને દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલ પણ કથા સાંભળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણવાડા વિભાગના જી.પં. સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ તેમના પતિ શ્રી રિતેશભાઈ પટેલ, અંકલેશ્વરથી કૃષ્ણ પરિવારના શ્રી પિયુષભાઈ પટેલ, મગરવાડાના પૂર્વ સરપંચ શ્રી મુકેશભાઈ કામલી, શ્રી શિતલભાઈ પટેલ તેમજ દમણ રાણા સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.