(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 0ર
નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતનભાઈ વ્યાસ મનમાની રીતે ફરજ પર આવીટ્રાવેલ્સવાળાઓને ગર્ભિત ધમકી આપતા હોવાની રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ ઓનર્સ વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પરમાર સહિતના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી,વાહન વ્યવહાર મંત્રી સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, નવસારી આરટીઓ કચેરીમાં છેલ્લા ચારેક વર્ષથી ફરજ બજાવતા આરટીઓ અધિકારી કેતનભાઈ વ્યાસ પોતાની ફરજ પર મનમાની રીતે ઓફિસમાં આવજાવ કરે છે અને એમની જગ્યાએ એમના ડમી માણસો (ફોલ્ડરિયા) યાસીનભાઈ અને જયંતીભાઈ આરટીઓના અધિકારી હોય તે રીતે કેતનભાઈ વ્યાસનો કારભાર સંભાળી રહ્યા છે અને તેઓ પોતે સરકારી અધિકારીઓ હોય તેમ વાહન માલિકો અને ટ્રાવેલ્સવાળા સાથે ખરાબ વર્તન કરતા આવ્યા છે અને ટ્રાવેલ્સવાળાઓ કોઈ રજૂઆત કરે તો ટ્રાવેલ્સના વાહનોને મેમો આપવા અને ડિટેઇન કરવાની ધમકીઓ આપવામાં આવે છે.
તો આવા મનસ્વી રીતે વ્યવહાર કરી વાહન ચાલકોને પરેશાન કરનાર અધિકારી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આરટીઓ અધિકારી સામેની ટુરિસ્ટ વ્હીકલ ઓનર્સ એસોસિએશનની લેખિત રજૂઆતમાં કયાં પ્રકારની તપાસ કાર્યવાહી કરવામાંઆવશે તે જોવું રહ્યું.