દમણ-દીવના 61મા મુક્તિ દિવસની દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રંગેચંગે થયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે દમણ અને દીવના 61માં મુક્તિ દિવસની ઉજવણી ખુબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએત્રિરંગો લહેરાવી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારત દેશ કરતા દમણ અને દીવ 14 વર્ષ ચાર મહિના અને ચાર દિવસ મોડું આઝાદ થયું હોવા છતાં આજે વિકાસની દૃષ્ટિએ દેશના બીજા જિલ્લાઓ કરતા આપણે આગળ છીએ. તેમા પણ જ્યારથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કાર્યરત બની છે, ત્યારથી એટલે કે ર014થી દમણ-દીવના ઓલરાઉન્ડ વિકાસે રફતાર પકડી હોવાનું જણાવ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ છેલ્લા પાંચ વર્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ખાસ કરીને મોટી દમણના થયેલા વિકાસની ઝાંખી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે દમણવાડા ગ્રામ પંચાયતે પણ ડગથી ડગ માંડી આગળ વધવાનું છે. તેમણે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ હોવાના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોને ટાંકી જણાવ્યું હતું કે આપણે નાગરિક તરીકે આપણા વિસ્તારની સ્વચ્છતા રાખવાની જવાબદારી આપણા દરેકની છે. તેમણે કચરો ગમે ત્યાં નાંખવાની જ્ગ્યાએ તેને કચરાપેટીમાં નાંખવા તથા હવે ભવિષ્યમાં કચરાપેટી મુક્ત દમણવાડા ગ્રામ પંચાયતનું નિર્માણ કરવાનું છે ત્યારે ઘરનો કચરો ભીનો અને સુકો અલગ કરી સફાઈ કર્મીઓને આપવા પણ સમજણ આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામપંચાયતના આગેવાન શ્રી પપ્પુભાઈ(હરેશભાઈ) બારી, શ્રી રવુભાઈ બારી, શ્રી શાંતુભાઈ સોરઠી, શ્રી નરેશભાઈ હળપતિ, શ્રીમતી જોશીલાબેન રાજેશભાઈ બારી, ભાઠૈયાથી શ્રી અરુણભાઈ પટેલ, શ્રીમતી દીપાબેન એ.પટેલ, શ્રીમતી દિપીકાબેન ડી.પટેલ, ભામટીથી શ્રી રવજીભાઈ એમ.પટેલ, શ્રીમતી પુષ્પા રાઠોડ ગોસાવી, બોરીયા તળાવથી શ્રી દિનેશભાઈ હળપતિ, ઢોલરથી શ્રી શાકીબભાઈ વગેરે સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભામટી પ્રગતિ મંડળના શ્રી ગણેશભાઈ પટેલે કર્યુ હતું.