-
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્યક્ષ શૌકતભાઈ મીઠાણીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લઘુમતી સમુદાયના ઉત્થાન માટે થઈ રહેલા વિકાસ કામોની આપેલી જાણકારી અને લઘુમતી સમુદાયની દિકરીઓના શિક્ષણ માટે ખુલેલા દ્વારની આપેલી માહિતી
-
સંઘપ્રદેશનો વિકાસ નિહાળી પ્રભાવિત બનેલા કેન્દ્રીય વક્ફ ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન અને પ્રતિનિધિમંડળ
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય અંતર્ગતની વક્ફ ડેવલેપમેન્ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ આજે કેન્દ્રીય વક્ફ કમિટીના સભ્ય અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય શ્રી હનીફ અલી અને કારીહારુન સાથે દમણની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે દમણમાં લઘુમતી સમુદાયના કલ્યાણ માટે કાર્યાન્વિત કેન્દ્ર સરકારની યોજનાઓનું નિરીક્ષણ કર્યુ હતું. તેમની સાથે સંઘપ્રદેશ ભાજપ લઘુમતી સમુદાય મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણી પણ જોડાયા હતા.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચાલી રહેલ વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. દરમિયાન કેન્દ્રીય લઘુમતી વક્ફ ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબી, સભ્ય હનીફ અલી અને કારીહારુને દમણના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી પ્રદેશના થયેલા વિકાસથી તેઓ રૂબરૂ થયા હતા.
કેન્દ્રીય વક્ફ ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબી અને પ્રતિનિધિ મંડળના અન્ય સભ્યોએ ચાલી રહેલા વિકાસકામો અને થયેલા વિકાસને નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. સમગ્ર ટીમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશમાં અભૂતપૂર્વ વિકાસકામો દ્વારા સંઘપ્રદેશની થયેલી કાયાપલટ બદલપોતાની પ્રસન્નતા પણ વ્યક્ત કરી હતી.
દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણીએ પ્રદેશમાં લઘુમતી સમુદાયના કલ્યાણ માટે અને ખાસ કરીને લઘુમતી સમુદાયની દિકરીઓની કેળવણી માટે પ્રશાસને લીધેલા વિવિધ પગલાંઓની જાણકારી પણ આપી હતી અને તેમના કામોથી વક્ફ ડેવલપમેન્ટ કમિટીના તમામ સભ્યો ખુબ જ પ્રભાવિત થયા હતા.
વક્ફ ડેવલપમેન્ટ કમિટીના પ્રતિનિધિ મંડળે દાદરા નગર હવેલી ખાતે લઘુમતી સમુદાયના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી અને સેલવાસમાં હઝરત ઈમામ હુસેનની દરગાહ ઉપર માથું પણ ટેકવ્યું હતું.