સંસ્થાના દ્રઢ સંકલ્પ અને દાતાઓએ મુકેલા વિશ્વાસના પગલે પૂરતી સગવડવાળું કુમાર છાત્રાલયનું મકાન ઉપલબ્ધ થશેઃ પ્રમુખ આનંદભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ) તા.19
ચીખલી તાલુકાના ફડવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એમ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયના નવા મકાનનું ભૂમિપૂજન આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પી.સી.સ્વામીના હસ્તે સંસ્થાના પ્રમુખ શ્રી આનંદભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ શ્રીહર્ષદભાઈ પટેલ, મંત્રી શ્રી બીપીનભાઈ, અગ્રણી શ્રી અમ્રતભાઈ-ફડવેલ સહિતનાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જૂની શાળાનું મકાન ભૂકંપના સમયે જર્જરિત થતા તેની જગ્યાએ બાળકોને આધુનિક સુવિધાવાળું મકાન મળી રહે તે માટે શૂન્યમાંથી કેવી રીતે નવું સર્જન કરાયું અને તે માટેના સંઘર્ષની વાત જણાવી હતી. ભૂતકાળના કાર્યોને ધ્યાનમાં રાખી અનેક દાતાઓએ વિશ્વાસ મૂકી આર્થિક યોગદાન આપવા તત્પરતા દર્શાવતા હવે ટૂંકા સમયમાં આધુનિક મકાન ઉપલબ્ધ થશે.
ફડવેલની ઉપરોક્ત શૈક્ષણિક સંસ્થાનું સુકાન શ્રી આનંદભાઈ દેસાઈએ સાંભળ્યા બાદ ગમે તેવા આર્થિક સંકટો આવે તો પણ આહવા-ડાંગ, ધરમપુર, કપરાડા, બોરસીમાછીવાડ સહિતના અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા ગરીબ આદિવાસી પરિવારોના બાળકોને પૂરતી સગવડ મળે અને કોઈ તકલીફ નહીં પડે તે માટેના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધતા અને પારદર્શક વહીવટ સાથે દાતાઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહેતા દાતાઓ પૈકી શ્રી અરૂણભાઈ પટેલ કે જેઓ ટી.એચ.એફ. ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. તેમના તરફથી છાત્રાલયના બાંધકામ માટે દસ હજાર ડોલર, શ્રી ગૌરાંગભાઈ દેસાઈ-શિક્ષા ફાઉન્ડેશન તરફથી પાંચ હજાર ડોલર,શ્રી અમૃતભાઈ પટેલ તથા શ્રી મજીદભાઈ હબીબભાઈ તરફથી 5151 હજાર રૂપિયા, શ્રી જયેશભાઈ-બોડલાઇ પરમવીર ક્રિકેટ એસોસિએશન એટલાન્ટા તરફથી શાળાને સ્માર્ટ બોર્ડ આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શ્રી સનતભાઈ મહેતા સહિતના અનેક મહાનુભાવો ભૂમિપૂજન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભારવિધી મંત્રી શ્રી નિતિનભાઈ પટેલે આટોપી હતી.