14મી જાન્યુઆરીએ ટ્રેક ઉપર એક સિમેન્ટ પોલ કોઈ ઈસમોએ ગોઠવ્યો હતો : 35 શકમંદોની તપાસ ચાલુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
અતુલ રેલવે સ્ટેશન નજીક ગત તા.14મી જાન્યુઆરીએ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર રચાયું હતું. ટ્રેન ટ્રેક ઉપર એક સિમેન્ટનો પોલ ગોઠવી દેવાયો હતો. જેથી ટ્રેન ઉતલી પડે પરંતુ એન્જીનની ટક્કરમાં પોલના ટુકડા થઈ જતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ઘટનાની ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસ બે દિવસથી ચાલી રહી છે.
અતુલ સ્ટેશન નજીક કોઈ ભાંગફોડીયા તત્ત્વો દ્વારા રેલવે ટ્રેક ઉપર 14મી જાન્યુઆરીએ એક સિમેન્ટનો પોલ ગોઠવીને સાંજના 5 કલાકે પસાર થતી સુપર ફાસ્ટ રાજધાની ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્રરચી નાખેલું હતું. જો કે પોલ એન્જીનની ટક્કરમાં તૂટી ગયો હતો. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ એ.ટી.એસ. ટીમ, વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી., જી.આર.પી. અને આર.પી.એફ.ના પોલીસ અધિકારીઓની ઉચ્ચ ટીમે ઝીણવટભરી તપાસ તાકીદે શરૂ કરી દીધી હતી. આજુબાજુના 500 ઉપરાંત લોકો, રેલવેના મજુરોની ચાંપતી પૂછપરછ કરાઈ હતી. જેમાં 35 જેટલા શકમંદો હાલ પોલીસ રિહાસતમાં રખાયા છે. પોલીસ ઘટનાનો ઊંડાણપૂર્વક તાગ કાઢીને ષડયંત્રનો પર્દાફાસ કરવા ગંભીર રીતે કટીબધ્ધ બની ચૂકી છે.