આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખી કરવામાં આવેલી ચર્ચા વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.24
ભીલાડ અવધ હોટલ ખાતે ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ખાસ કરીને ઉમરગામ તાલુકાનાતમામ ગામડાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને સક્રિય કરી એમનામાં રહેલી નારાજગી દૂર કરી અને મનદુઃખ ભૂલી સંગઠનને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં ભાજપ શાસિત સરકારમાં ચરમસીમાએ પહોચેલા ભ્રષ્ટાચાર, વધતા જતા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ સહિત વધી રહેલી મોંઘવારીને મુદ્દો બનાવી પ્રજા સમક્ષ પહોંચવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.
આજની બેઠકમાં એઆઇસીસીના સેક્રેટરી શ્રી બીએમ સંદીપ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી સંજયભાઈ પટવા, પ્રદેશ મહામંત્રી શ્રી મિલનભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા શ્રી ધર્મેશ પટેલ સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.
આ ઉપરાંત ઉમરગામ તાલુકાના આગેવાન શ્રી પ્રવેશ પટેલ, શ્રી નરેશભાઈ વળવી, મહિલા પ્રમુખ શ્રીમતી કુસુમબેન પટેલ ઉમરગામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી સુરેશભાઈ યાદવ, શ્રી લક્ષ્મીભાઈ ધોડી વગેરેની હાજરી જોવા મળી હતી.