વલસાડઃ૨૧: વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ બાયર કંપનીમાં આજરોજ સવારે ૧૧.૦૦ કલાકના અરસામાં કંપનીમાં એક્રિલોન નાઇટ્રાયલ કેમિકલ મેઝરીંગ ટેન્કના વાલ્વમાંથી ટ્રાન્સફર કરી રહયા હતા ત્યારે ઓપરેટર દ્વારા સકશન પંપ પાઇપલાઇનના ફલેન્જ જોઇન્ટમાં ગળતર જોવા મળતાં તરત જ કંપનીના ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પ્લાન્ટ ઇન્ચાર્જ દ્વારા સાઇટની મુલાકાત લઇ લીકેજ ફલેન્જ જોઇન્ટનું રીપેરિંગ કરવા ફીટરને જણાવતાં આ રીપેરિંગ દરમિયાન જ ડાઇક વોલમાં ભેગું થયેલ એક્રિલોન નાઇટ્રાયલ કેમિકલને ઇગ્નીશન મળતાં અચાનક જ આગ લાગી હતી. ટોકસીક ગેસની વેપરથી ઓપરેટર અને ફીટર સ્થળ ઉપર જ ઢળી પડતાં કંપનીના ટેકનીકલ હેડ એન.કે.શાહે કંપનીમાં ૧૦.૩૭ કલાકે ઓનસાઇટ ઇમરજન્સી ડીકલેર કરી હતી. ત્યારબાદ કંપનીના ફાયર ટેન્કર અને ટીમના સભ્યો દ્વારા એસ.સી.બી.એ. સેટ અને પી.પી.ઇ.નો ઉપયોગ કરી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં આગ કાબુમાં ન આવી હતી. આ ઝેરી ગળતરથી બેભાન થયેલા એક કામદારને તુર્ત જ કંપનીની એમ્બ્યુલન્સમાં હરિયા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત બે કામદારોને એન.ડી.આર.એફ.ના બે સભ્યોને કંપનીના જ ઓકયુપેશનલ હેલ્થ સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી.
આ ઝેરી ગેસના ગળતરની જાણ કંપનીના મેનેજમેન્ટ દ્વારા જિલ્લા ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેને કરતાં જિલ્લા કલેકટરશ્રીએ ર્તુત જ બાયર કંપની ખાતે ૧૧.૦૫ કલાકે ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી.
ઓફસાઇટ ઇમરજન્સી જાહેર થતાં જ ડિસ્ટ્રિકટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા તુર્તજ વાપી અને આજુબાજુની જી.આઇ.ડી.સી.માંથી ફાયર ફાઇટર મંગાવી લેવામાં આવ્યા હતા. જેના દ્વારા આ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઝેરી ગેસથી અસરગ્રસ્ત થયેલ લોકોને પ્રાથમિક સારવાર કરી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ આગથી કંપનીની આજુબાજુમાં આવેલ વિસ્તારોને વાપી શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા એનાઉન્સ કરી એલર્ટ કર્યા હતા. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર વાપી મામલતદારશ્રી મહાકાલ અને પોલીસ વિભાગ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે ૧૧.૩૭ કલાકે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી જતાં જિલ્લા ક્રાઇસીસ ગ્રૂપના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરને જાણ કરતાં જિલ્લા કલેક્ટરે આ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરી હતી.
આ મોકડ્રીલ દરમિયાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જી.પી.સી.બી., પોલીસ તંત્ર તથા અન્ય વિભાગોના તમામ ટીમ લીડરો ઉપરાંત જિલ્લાની આરતી, અતુલ, યુ.પી.એલ., હુબર, એસકાન્ત વગેરે કંપનીના પ્રતિનિધિઓએ તેમને ફાળે આવેલી કામગીરી પૂરી નિષ્ઠાથી નિભાવી હતી. આ મોકડ્રીલ બાદ મળેલ બેઠકમાં જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના ઇ.ચા. નિયામકશ્રી મકવાણા, શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ, જી.પી.સી.બી.ના ટી.એન.રાણા, ડી.વી.ટંડેલ, જે.એસ.પટેલ વગેરે દ્વારા મોકડ્રીલ અંતર્ગત થયેલ કામગીરી બાબતે મોકડ્રીલના ઓબ્ઝર્વર અતુલ કંપનીના શ્રી રવિન્દ્રભાઇ એસ.આહિરે મોકડ્રીલમાં થયેલ ક્ષતિઓ બાબતે અંગુલિનિર્દેશ કર્યો હતો અને એકંદરે આ મોકડ્રીલ સફળ રહેતાં જિલ્લા ક્રાઇસીસ ગ્રૂપના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.