(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી – વાંસદામાં નોકરી વાંચ્છુક ટેટ-ટાટ પાસ યુવાનો દ્વારા વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ટીવી-મીડિયા અને ન્યૂઝ દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી દિવસોમાં 26,500 જ્ઞાન સહાયકો અને 5000 ખેલ સહાયકોની ભરતી કરવા શિક્ષણ વિભાગ તૈયારી કરી રહ્યું છે. જો આ પ્રોજેકટ મિશન ઓફ ઍક્સેલન્સ અમલમાં આવશે તો હજ્જારો ઉમેદવારોએ શિક્ષક અભિયોગ્યતા કસોટી (ટેટ-ટાટ) પાસ કરેલ છે. તેમના ભવિષ્ય અંધકારમય બની જશે. રાત દિવસ મહેનત કરી ટેટ-ટાટ પરીક્ષા પાસ કરી અમોને આ જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી મંજૂર નથી. અસ્થાયી શિક્ષક શું બાળકનું પૂર્ણ ઘડતર કરી શકે? જેને પોતાના ભવિષ્ય ખબર ના હોય તે બાળકોનું ભવિષ્ય નક્કી કરશે? કેટલાક વર્ષોથી રાહ જોવાતી કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતીમાટે અમે મંજૂર નથી. જ્ઞાન સહાયક યોજના રદ થાય અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ગુજરાત રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય અને સરકાર પાસે બાળકો અને બેરોજગાર ઉમેદવારોના હિત માટેના નિર્ણય ની માંગ કરીએ છીએ.
ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કાયમી શિક્ષકોની ભરતીથી જ શિક્ષણ સુધરશે અને ટેટ-ટાટ પાસ યુવાનોની રજૂઆત સંદર્ભે સરકારમાં યોગ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.