-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘના પ્રયાસની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી યુદ્ધ જહાજ ખુકરીની નિવૃત્તિના માંડ 20 દિવસમાં દીવના ખુકરી મેમોરીયલ માટે નૌકાદળે આપેલી ભેટ
-
નૌકાદળમાંથી નિવૃત્ત થયેલ ખુકરી જહાજનું 26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશના પ્રશાસક દ્વારા વિધિવત રીતે લોકાર્પણ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.21
અગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દ્વિતિય નિર્માણ દિવસના ઉપલક્ષમાં દીવના ખુકરી મેમોરીયલ ખાતે 23મી ઓગસ્ટ,1989ના રોજ કાર્યરત થયેલ અને 23મી ડિસેમ્બર,ર0ર1ના રોજ 32 વર્ષ સુધી રાષ્ટ્રની સેવામાં રહ્યા બાદ નિવૃત થયેલ ઐતિહાસિક આઈએનેએસ ખુકરી જહાજને ભારતીય નૌકાદળ દ્વારા સંઘપ્રદેશ પ્રશાસનને વિધિવત ભેટ આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સામાન્ય નાગરિકો માટે યુદ્ધના જહાજો નિહાળવાની ભાગ્યેજ તક મળે છે. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી ભારત સરકારના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘના પ્રયાસોથી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિના કારણે દીવના ઐતિહાસિક ખુકરી મેમોરીયલ ખાતે મુંબઈની મઝગાંવ -ડોકમાં નિર્મિત આઇએનએસ ખુકરી 32 વર્ષની સેવા બાદ નૌકાદળમાંથી નિવૃત થતાં આ જહાજની ભેટ મળી છે.
1350 ટનની પરિવહન ક્ષમતા ધરાવતું ખુકરી જહાજ 91.1 મીટર લાંબુ, 10.પ મીટર લાંબો મોભ ધરાવતું અને યુદ્ધ માટે જરૂરી વિવિધ સુવિધાથી સજ્જ નૌકાદળનું આ નિવૃત્ત જહાજ નિહાળવા માટે પ્રવાસીઓની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારે કૂતુહલ રહેશે.
26મી જાન્યુઆરીના રોજથી દીવના અદ્યતન બનેલા ખુકરી મેમોરીયલ ખાતે આ ખુકરી જહાજ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
અત્રે નોંધનીય છે કે, 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સબમરીન પીએનએસ હેંગોર દ્વારા ટોરપીડોથી નષ્ટ કરતા આ જહાજ દીવના સમુદ્ર કિનારાથી 40 નોટીકલ માઈલની દુરી ઉપર 18 અધિકારીઓ અને 176 નાવિકો સાથે જળ સમાધિ લીધી હતી. જેની યાદગીરી રૂપે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખુકરી મેમોરીયલનું નિર્માણ કરાયું છે. જેને હાલમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા અદ્યતનીકરણ કરી વિરતાની યાદથી સભર બનાવાયું છે.