નર્સિંગ કોલેજના ફંડ અને પ્રવેશ ફીમાં કરેલી ગેરરીતિ છુપાવવા આરોપીએ પ્રિન્સીપાલનું અપહરણ કરી હત્યા કર્યા બાદલાશને કાર સાથે કુંતા નજીક તરકપારડી ખાતે ક્વોરીની ખાણમાં સળગાવી ફેંકી દીધી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સેલવાસ પોલીસે દમણ નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ કનીમોઝી અર્મૂગમ (ઉ.વ.45)ની હત્યાના પ્રકરણમાં આરોપી સાવન પટેલ(ઉ.વ.26) રહે. માર ફળિયા, પટલારા, મોટી દમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નર્સિંગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. સાવન પટેલ દ્વારા કોલેજના ફંડ અને પ્રવેશ ફીમાં કરાયેલી ગેરરીતિની જાણકારી પ્રિન્સીપાલને થતાં પોતાના ગુનાને છુપાવવા માટે પ્રિન્સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્યા કરી હોવાનું તારણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ નર્સિંગ કોલેજની પ્રિન્સીપાલ ગત તા.8મી ફેબ્રુઆરીએ સેલવાસથી દમણ આવવા માટે પોતાની કાર મારફત નિકળી હતી. પરંતુ નર્સિંગ કોલેજ પહોંચી નહી હતી અને ઘરે પણ પરત નહી ફરતા મૃતકના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે શરૂ કરેલી તપાસમાં આરોપી સાવન પટેલે પ્રિન્સીપાલનું અપહરણ કરી તેની લાશને દમણ પાસે આવેલ કુંતા ખાતે તરકપારડી ક્વોરી નજીક અવાવરુ જગ્યાએ ગાડી સાથે જ સળગાવી દીધી હતી.
સેલવાસ પોલીસે આઈપીસીની 346 અને 365 કલમ અંતર્ગત આરોપી સાવન પટેલની ધરપકડ કરીછે. પૂછપરછ દરમિયાન સાવન પટેલે દમણ નર્સિંગ કોલેજના ફંડ અને પ્રવેશ ફીમાં કરેલી ગરબડના કારણે પ્રિન્સીપાલની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, 28મી ફેબ્રુઆરીએ પ્રિન્સીપાલ કનીમોઝી અર્મુગમ જ્યારે નર્સિંગ કોલેજ જવા માટે દમણ આવી ત્યારે તેમણે પ્રિન્સીપાલ મેડમની કારમાં બેસી ફંડનો કોણ દુરપયોગ કરે છે તે જણાવવા કહ્યું હતું. ત્યારબાદ પ્રિન્સીપાલનું કારની સાથે અપહરણ કરી તેમને કુંતાના તરકપારડી ખાતે લઈ જઈ હત્યા કરી લાશ અને ગાડીને સળગાવી દીધી હતી.
… તો સાવન પટેલ દયાને પાત્ર નથી પરંતુ કોઈ ષડયંત્રનો ભોગ બન્યા હોય તો પોલીસે સત્ય સુધી પહોંચવું પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દમણની નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપી સાવન પટેલના ગત તા.18મી જાન્યુઆરી, 2022ના રોજ જ લગ્ન થયા હતા. સાવન પટેલને નજીકથી ઓળખનારાઓ જણાવે છે કે, આ પ્રકારનું કૃત્ય સાવન પટેલ કરી શકે એ તેમને માનવામાં નથી આવતુ. સાવન પટેલ સ્વયં શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી ધરાવતા હતા અને પટલારા વિસ્તારમાંથી એમ.બી.એ. થનારા તેઓ પહેલા યુવાન હતા.
સાવન પટેલ સંવેદનશીલઅને કવિહૃદયના હોવાથી આ પ્રકારનું ક્રુર કૃત્ય કરી શકે એવા તે નિર્દયી હોવાની વાત સાથે તેમના મિત્ર વર્તુળો પણ સહમત થતા નથી. પરંતુ પોલીસને મળેલા સાંયોગિક પુરાવાના આધારે પ્રિન્સીપાલ કનીમોઝીની હત્યા સાવન પટેલે કરેલી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
સાવન પટેલે હત્યા કરી હોય, તો તે દયાને પાત્ર બિલકુલ નથી. પરંતુ જો તેઓ નિર્દોષ હોય અને કોઈ ષડયંત્રનો ભોગ બન્યા હોય તો પોલીસની તપાસ સામે પણ ભવિષ્યમાં આંગળી ચિંધાવાની શક્યતા નકારાતી નથી. તેથી આ પ્રકરણમાં ઊંડાણથી તપાસ કરી પોલીસ સત્ય સુધી પહોંચે એવી લોકોની વ્યાપક લાગણી છે.