(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25
અંબિકા, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જાહેરાત કરાઈ ત્યારે પછી આ મુદ્દો આદિવાસી પૂર્વ પટ્ટી વિસ્તારોમાં આંદોલનનું સ્વરૂપ પકડી લીધુ છે. ધરમપુર-આહવા, નાનાપોંઢામાં આદિવાસીની રેલીઓ યોજાયા બાદ આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં હજારો આદિવાસીઓ રિવલ લિંક પ્રોજેક્ટના વિરોધમાં ઘોડાપુર ઉમટયું હતું.
રિવર લિંક પ્રોજેક્ટનો આખો મુદ્દો વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલએ ઊંચકી લીધો છે. પ્રદેશ કોંગ્રેસનું પીઠબળ મળી રહ્યું છે તેથી રાજ્ય સ્તરે વિરોધ કરવા માટે આજેગાંધીનગરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ વિધાનસભા ઘેરાવનો પ્રયાસ હાથ ધર્યો હતો. તો બીજી તરફ આ પ્રોજેક્ટમાં કોઈપણ આદિવાસી ખેડૂતો કે ગામની એક પણ ઈંચ જમીન ડૂબાણ કે સંપાદનમાં જવાની નથી તેવી બાહેંધરી ભાજપના મંત્રી-પ્રમુખ અને સરકાર તરફથી અપાઈ ચૂકી છે પરંતુ આગામી સમયે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસએ રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો રાજકીય હથિયાર બનાવીને આદિવાસીઓને ગુમરાહ કરવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું ભાજપ વર્ણવી રહેલ છે.