સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: કેરલના કોચિન ખાતે શુક્રવારે યોજાયેલ ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતના લોકાર્પણ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ મુલાકાતની તક મળી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને અભિનંદન પાઠવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મહત્વના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ કેટલાક વ્યુહાત્મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના ઈતિહાસમાં શ્રી પ્રફુલભાઈપટેલ પહેલા એવા પ્રશાસક છે કે જેમના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી સહિતના ભારત સરકારના મહત્વના હોદ્દેદારો સાથે અંગત સ્નેહના સંબંધો રહ્યા છે.