વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની જનતા આઝાદીને લગતા પુસ્તકોથી પરિચિત થાય તેવા ઉમદા આશયથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૧૦૦૦ કરતાં વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેનો વલસાડની વાંચનપ્રિય જનતાએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઇ પટેલે આઝાદીને લગતા તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો અંગે જાણકારી આપી હતી. સુરતના મદદનીશ ગ્રંથાલય નિયામક ડી.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રંથાલયોની જાણકારી આપી યુવાઓને વધુમાં વધુ પુસ્તકોનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો. ગ્રંથપાલ શ્રીમતી એલ.આઇ.પટેલે આભારવિધિ આટોપી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સરકારી ગ્રંથાલયોના ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ, વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા, ગાંધી લાયબ્રેરી, સાર્વજનિક પુસ્તકાલય કપરાડા, અંધજન શાળાના બાળકો, શિક્ષકગણ સહિત યુવાઓ ઉપસ્થિત રહયા હતા.