July 28, 2026
Vartman Pravah
Other

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

  • મુખ્‍યમંત્રીએ અસરગ્રસ્‍ત વિસ્‍તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું : શેલ્‍ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્‍ત નાગરિકો સાથે સંવાદ કર્યો : નવસારી જિલ્લામાં વરસાદી પરિસ્‍થિતિને અનુલક્ષીને ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.12: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્‍તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.નવસારી જિલ્લાના વિવિધ વિસ્‍તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્‍ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્‍તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્‍ય સેવાઓની જાણકારી મેળવી હતી.
તેમણે અહીં નીચાણવાળા વિસ્‍તાર વોરાવાડથી સ્‍થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્‍તો સાથે સંવાદ કરી ‘સરકાર આ વિપદામાં તેમની પડખે છે’ તેવો સધિયારો આપ્‍યો હતો.
રાજ્‍યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી વિકટ પરિસ્‍થિતિનું મુખ્‍યમંત્રીશ્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ત્‍યારે મંગળવારે નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન નવસારી કળષિ યુનિવર્સિટીની એન.એમ. કોલેજ સ્‍થિત સભાગૃહમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્‍ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્‍તોની પડખે ઉભી છે. વરસાદની સ્‍થિતિને ધ્‍યાને રાખી રાજ્‍યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતિ માટેના તકેદારીના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
મુખ્‍યમંત્રીશ્રીએ તંત્રને એલર્ટ મોડ પર રહેવા માર્ગદર્શન આપવા સાથે કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડીઓ, પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્‍ટરહોમ્‍સ, ફૂડ પેકેટની વ્‍યવસ્‍થાઓ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન પૂરૂ પાડ્‍યું હતું.
બેઠકમાં મુખ્‍ય સચિવ શ્રી પંકજકુમારે નાગરિકોને ડેમ સાઈટ, દરિયાકિનારે ન જવા અપીલ કરી હતી. તેમણે દરિયાકિનારે જતા લોકોને અટકાવવા સંબંધિત માર્ગો પર અવરજવર પ્રતિબંધિત કરવાની સુરત રેન્‍જના આઈ.જી.પી.શ્રીને સૂચના આપી હતી. તેમજ પોતાના જાનમાલની સલામતી માટે જનતા જનાર્દન પણ જાગૃતિ સાથે સંપૂર્ણ કાળજી રાખે તે ઈચ્‍છનીય હોવાનું જણાવ્‍યું હતું.
જિલ્લા કલેક્‍ટર શ્રી અમિત પ્રકાશ યાદવે મુખ્‍યમંત્રીશ્રીને નવસારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહતકાર્યો, સ્‍થળાંતરિત નાગરિકો અને તેમના માટેના આશ્રયસ્‍થાનોની વ્‍યવસ્‍થા અંગે વિગતો આપી સમગ્રલક્ષી વિગતોથી માહિતગાર કર્યા હતા. વર્તમાન વરસાદી સ્‍થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લો રેડ એલર્ટ પર છે, સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોકોના જાનમાલના રક્ષણ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. એટલું જ નહિ, અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં એનડીઆરએફની બે ટીમ ડિપ્‍લોય કરવામાં આવી છે. રેસ્‍કયુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે તેની વિગતો તેમણે મુખ્‍યમંત્રીશ્રીને આપી હતી.
જિલ્લામાં 13 શેલ્‍ટર હોમમાં બેહજાર જેટલા અસરગ્રસ્‍ત નાગરિકો આશ્રય લઈ રહ્યા છે એમ જણાવી કલેક્‍ટરશ્રીએ સામાજિક સંસ્‍થાઓ અને જાગૃત નાગરિકોના સહયોગથી રાહત કામગીરી સુયોગ્‍ય રીતે થઇ રહી હોવાનું જણાવ્‍યું હતું.
આ સમીક્ષા બેઠકમાં આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા, મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, સુરત રેન્‍જના એડિશનલ આઈ.જી.પી. ડો.એસ.પી. રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્‍યાય તેમજ જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્‍ટર વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

vartmanpravah

Leave a Comment