ઔરંગા નદીના પૂરમાં વલસાડ બેહાલ કરોડો રૂપિયાનું નુકશાન : અનેક વિસ્તારો આજે પણ પાણીમાં શહેર વેન્ટીલેટર ઉપર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: છેલ્લા બે દિવસ વલસાડ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીનો ભોગ બની ચૂક્યા હતા. ઔરંગા નદીના ઘોડાપૂરે વલસાડ શહેરને બેહાલ કરી મુક્યું હતું. હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશનનો દોર લગાતારચાલતો રહેલો હતો. આ અતિવૃષ્ટિમાં વલસાડ શહેર અને આજુબાજુના 40 ઉપરાંત ગામો માટે હાર્ટલાઈન સમા લીલાપોર પીચીંગ પુલ અને કૈલાસ રોડ હનુમાન ભાગડા પુલ આ બન્ને પુલ સંપૂર્ણ રીતે ધોવાઈ જતા ચિંથરે હાલ બની ચૂક્યા છે. અવર જવર બંધ રખાયો છે. અનેક ગામોનો વલસાડ શહેર માટે સંપર્ક તૂટી ચૂક્યો છે.
વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા ઔરંગા નદી ઉપર બે પુલ કાર્યરત છે. આ બન્ને પુલો શહેરના લીલાપોર, હનુમાન ભાગડા, કૈલાસ રોડ વિસ્તારને જોડે છે. બન્ને પુલ પૂરમાં બેહાલ થતા 40 ઉપરાંત ગામોનો વલસાડથી સંપર્ક તૂટી ચૂક્યો છે. હાલની અતિવૃષ્ટિએ કાશ્મિરનગર, તરીયાવાડ, વલસાડ પારડી, કૈલાસ રોડ, હનુમાન ભાગડા, લીલાપોર, ભદેલી જગાલાલા જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરે ભયંકર તારાજી સર્જી છે. કરોડો રૂપિયાના સરસામાન, મકાનોનું નુકશાન થઈ ચૂક્યું છે. દાણાબજારમાં મોટા ભાગની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો માલ-સામાન, ચિજવસ્તુ પાણીમાં તણાઈ ચૂક્યા છે. એમ પણ કહી શકાય કે વલસાડ હાલમાં વેન્ટીલેટર ઉપર છે તેવી ચોમેર નકરી તારાજી જ તારાજી વેરાયેલી જોવા મળી રહી છે.
—–