સાંજે પાંચ વાગ્યે સેલવાસ કલેક્ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્દ્ર ખાતે મૌન રેલી પહોંચશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 13: 14મી ઓગસ્ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્મરણ દિવસ’ મનાવવામાં આવશે.
ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાનનું સર્જન થતાં ત્યાં રહેતા હજારો બિન મુસ્લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે.
આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્દ્ર ખાતે પહોંચશે. જ્યાં 14 થી 16 ઓગસ્ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે.
સેલવાસના રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્વાન કર્યું છે.