સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલ અને દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલા ‘ઈન્ડિયા ડે’થી લોકોમાં આનંદ અને ઉત્સાહનોમાહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પહેલથી દાદરા નગર હવેલીમાં સેલવાસ ખાતે ‘ઈન્ડિયા ડે રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રદર્શિત કરવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું. કારણ કે, દાદરા નગર હવેલી નાનો પ્રદેશ હોવા છતાં ભારત દેશના તમામ પ્રાંતના દરેક ધર્મના અને વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે હળીમળીને સૌહાર્દપૂર્ણ રહેતા આવ્યા છે. જેના ઉપલક્ષમાં આજે પ્રશાસન દ્વારા ‘ઈન્ડિયા ડે રેલી’નું આયોજન કરાયું હતું.
આ ‘ઈન્ડિયા ડે રેલી’નું બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ વગેરે વિસ્તારથી આવેલા લોકોએ પોતાના પ્રાંતની ઓળખ એવા પારંપારિક વષાો પહેરી રિવરફ્રન્ટ ખાતે પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને આનંદ-ઉલ્લાસથી ભાગ લીધો હતો. આ રેલી સેલવાસના શહિદ ચોકથી શરૂ થઈ સેલવાસ રિવરફ્રન્ટ સુધી પહોંચી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપસ્થિત રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમણે પોતાના કરકમળથી 30મીટર ઊંચાઈના ફલેગપોસ્ટ ઉપર તિરંગો લહેરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં નાના બાળકોએ પણ પુરા ઉત્સાહ સાથે ભારતના વિવિધ સ્વતંત્રતા સેનાનીઓના સન્માનમાંતેમની વેશભૂષા કરી હતી અને આ યાત્રામાં ભાગ લીધો હતો. જેને પ્રશાસકશ્રીએ લીલી ઝંડી બતાવી રેલીના મુખ્ય આકર્ષણ રહેલા 750 ફૂટ તિરંગાને લઈ બાળકો આગળ વધ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં આજે યોજાયેલ ‘ઈન્ડિયા ડે’ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને પણ બળ મળ્યું છે.
આ પ્રસંગે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહ સંસદીય બેઠકના ભાજપ પ્રભારી ડો. વિશાલભાઈ ટંડેલ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, કાઉન્સિલરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.