(ભાગ-3)
મુખ્ય સચિવની સૂચનાથી તત્કાલિન સહાયક આઈજીપી દિપક મિશ્રાએ દમણમાં ચાલતી ગેરકાયદે કન્ટ્રી(દેશી) દારૂ બનાવવાની ભઠ્ઠીઓ અને વેચાતા અખાદ્ય ગોળ તથા નવસાર ઉપર દરોડા પાડી દૂષણને અંકુશમાં લાવવા મેળવેલી સફળતા
મુખ્ય સચિવ તરીકે શ્રી આર.પી.રાય અને સહાયક આઈ.જી.પી. શ્રી દિપક મિશ્રાના આગમન બાદ તેમણે દમણમાં ચાલતી દેશી(કન્ટ્રી) દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ પાડવાની શરૂઆત કરી હતી. તે સમયે દમણના કેટલાક વિસ્તારોમાં ઘર ઘરમાં દારૂની ભઠ્ઠીઓ ધબકતી હતી અને તે સમયના કેટલાક સરપંચો, રાજકીય આગેવાનો દ્વારા ચાલતી પોતાની દુકાનોમાં દેશી કાળા અખાદ્ય ગોળ અને નવસારનું મોટાપ્રમાણમાં વેચાણ થતું હતું. મુખ્ય સચિવ શ્રી આર.પી.રાયની સૂચનાથી સહાયક આઈ.જી.પી. શ્રી દિપક મિશ્રાએ વિવિધ દુકાનો અને ચાલતી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવાનું અને આરોપીઓ સામે સખત કાર્યવાહીનો આરંભ કર્યો હતો. દમણમાં દારૂની છુટ્ટી હોવા છતાં મોટાપ્રમાણમાં જે તે સમયે દેશી દારૂની ઠેર ઠેર ભઠ્ઠીઓ ધબકતી હતી અને તેમાંથી નિકળતાપાણીના કારણે શેરી અને ગામમાં એક ખાસ પ્રકારની તિવ્ર દુર્ગંધ પણ ફેલાતી હતી. પોલીસ અને પ્રશાસનની કાર્યવાહીથી દેશી દારૂના ધંધામાં ઓટ આવવાનો પ્રારંભ થયો હતો.
શ્રી એમ.એસ.ખાનના કલેક્ટર કાળમાં ક્લીયર કરવા બાકી રહેલી જમીન એન.એ.ની ફાઈલો, ડિસ્ટીલરીના લાયસન્સો તથા અન્ય સંવેદનશીલ ફાઈલોને જોવાની અને પરખવાની શરૂઆત શ્રી આર.પી.રાયે કરી હતી. તેમણે આ બધી ફાઈલો એબેન્સમાં રાખી દીધી હતી. જેના કારણે દમણનો માહોલ તોફાની બનવા પામ્યો હતો. મુખ્ય સચિવ શ્રી આર.પી.રાયે તત્કાલિન ગોવાના ઉપ રાજ્યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક ડો. ગોપાલ સિંઘની સૂચનાનો પણ અનાદર કર્યો હતો. જેના કારણે દમણ બંધનું એલાન પણ થયું હતું અને દમણ જડબેસલાક બંધ પણ રહ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી આર.પી.રાયે 1989ના એપ્રિલ મહિનામાં આ લખનાર સાથેની રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘‘વિકાસની વ્યાખ્યા શું છે? શું જમીન એન.એ. કરવી, એક્સાઈઝના લાયસન્સો આપી દેવા કે સરકારી જમીન લીઝ ઉપર આપી દેવી તેને શું વિકાસ કહેવાય? વિકાસ એટલે છેવાડેના વ્યક્તિથી લઈને ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો અવસર મળવો જોઈએ અને શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. શું દમણના કોઈપણ રાજકારણી મારી પાસે પ્રજાના હિત માટે શુંકરવું જોઈએ અને કેવા પ્રોજેક્ટો લાવવા જોઈએ તેની ચર્ચા કરવા આવ્યા છે?”
દમણ બંધ બાદ મુખ્ય સચિવ તરીકે શ્રી આર.પી.રાયની બદલીની ઘડીઓ ગણાવા લાગી હતી. તત્કાલિન કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકારની સૂચનાથી તે સમયના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજેશ પાયલટ પણ દમણ ધસી આવ્યા હતા. તેઓ પણ સ્થિતિની સમીક્ષા કરીને પરત ફર્યા હતા. તે સમયે દાદરા નગર હવેલીમાં આદિવાસી વિકાસ સંગઠનનો પણ ઉદય થઈ રહ્યો હતો. ત્યાં આદિવાસીઓના અધિકાર માટેની માંગણી પણ ઉગ્ર બની હતી. સાયલીમાં નિર્માણ પામનારી સુગર ફેક્ટરીની જગ્યાના મુદ્દે આદિવાસી વિકાસ સંગઠને પોતાના આંદોલનને સખત બનાવ્યું હતું. ગોવાના તે સમયના ઉપ રાજ્યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક ડો. ગોપાલ સિંઘને સાયલીની સૂચિત જગ્યાએ સુગર ફેક્ટરીના ખાતમુહૂર્ત માટે રોકવામાં આવ્યા હતા. એક તરફ દમણ-દીવ અને બીજી તરફ દાદરા નગર હવેલી કેન્દ્ર સરકાર માટે માથાનો દુઃખાવો બની ચુક્યો હતો. (ક્રમશઃ)