(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: સ્વચ્છતા માટે તંત્રના લોકોમાં જાગૃતિ માટે વારંવારના પ્રયત્નો બાદ પણ સુધરેએ બીજાની યુક્તિ સાર્થક કરતા કેટલાક લોકો દ્વારા આડેધડ કચરો ફેંકી જવાનો સિલસિલો યથાવત રહેતા હવે ગંદકી ન ફેલાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની નોબત આવી છે.
ચીખલી તથા આજુબાજુના થાલા, ખૂંધ, સમરોલી, મજીગામ સહિતના ગામોમાં મુખ્ય માર્ગને અડીને ઘણી જગ્યાએ કેટલાક લોકો દ્વારા આડેધડ કચરો ફેંકીજવાતા સંબંધીત ગ્રામ પંચાયતો દ્વારા અવારનવાર આવા સ્થળોએ સાફ-સફાઈ કરાવી કચરાનો નિકાલ પણ કરાતો હોય છે પરંતુ એક બાજુ કચરો સાફ થયાની સાથે જ બીજી બાજુ ત્યાં ગંદકીની સ્થિતિ યથાવત થઈ જવા પામતી હોય છે ગ્રામ પંચાયતો દ્વારા આવા સ્થળોએ ગંદકી ન ફેલાવવા માટે ચેતવણી સાથેના સૂચના બોર્ડ પર લગાવ્યા છે પરંતુ તેને પણ કેટલાક લોકો ધોળીને પી જતા હોય છે. ત્યારે આવા લોકો પર લગામ કસવા અને ગંદકી ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ચીખલી તથા આસપાસના ગામોમાં 19 જેટલા સ્થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ચીખલી ઉપરાંત ખૂંધ, થાલા, સમરોલી જેવા ગામોમાં કચરો ઉપાડવા માટે ગ્રામ પંચાયતોના વાહનો ફરતા હોય છે પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો જાહેર જગ્યા ઉપર કચરો ફેંકી જતા હોય છે ત્યારે હવે તંત્ર દ્વારા કડક વલણ અખત્યાર કરી પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે ત્યારે ગંદકી ફેલાવનારાઓને પણ સદબુદ્ધિ મળશે કે કેમ તે જોવું રહ્યું.
ચીખલી તાલુકા પંચાયતના ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્યાનુસાર એસપી કચેરીથી સુચના મળી છે કે, લોકો જાહેર સ્થળ ઉપર કચરો ના ફેંકે એટલે સામાજિક જવાબદારી આપી હોમગાર્ડ જવાનો મુકવામાં આવ્યા છે.