(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.21: આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ ઉજવણીના ઉપલક્ષમાં ૧૦ વર્ષ સુધીની વયના બાળકો માટે ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ભગવાન શિવની વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શિવ પરિવારના અનેક બાળકોએ ભગવાન શિવના અવનવા વેશ ધારણ કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત શિવ પરિવારના શિવભક્તોએ પોતે બનાવેલા સ્વરચિત ભજનોની સ્પર્ધા પણ યોજાઈ હતી.
આ શુભ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આજે આપણે મોક્ષદાતા, નિરાકાર બની સાકાર બનનાર ભગવાન શિવની આરાધના કરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે ભગવાન શિવનું રૂપ ધારણ કરનાર બાળક તેનું કર્તવ્ય વધુ સારી રીતે કરી શકે અને તેને પૂરતું પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો સૌને કરવા જોઈએ. આજે બાળકોની નહિ તેમના વાલીની સ્પર્ધા થઈ છે, તેમની શિવ પ્રત્યેની ભાવના મહાદેવના રૂપમાં પ્રગટ થઈ છે.
વેશભૂષા સ્પર્ધાના નિર્ણાયક તરીકે નાનુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ અને મહારાષ્ટ્રના ઠાકરે ગુરુજીએ સેવાઓ આપી હતી. જ્યારે ભજન સ્પર્ધામાં ગૌરવભાઈ પટેલ, હેમંતભાઇ પટેલ અને સુમિત્રાબેને સેવાઓ આપી હતી.
આજની વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ જિયાંસુ ધર્મેશભાઈ પટેલ, બીજા સ્થાને પ્રથમ જીજ્ઞેશભાઈ પટેલ અને ત્રીજા સ્થાને હરિ જયેશભાઈ પટેલ રહ્યા હતા. જેમને અનુક્રમે ૧૦૦૦, ૭૦૦ અને ૫૦૦ ઇનામ અપાયા હતા. જ્યારે સ્વરચિત ભજન સ્પર્ધામાં પ્રથમ ઇલાબેન બીપીનભાઈ પરમાર, દ્વિતીય સ્થાને પ્રકૃતિબેન અને જીજ્ઞેશભાઈ તેમજ ત્રીજા સ્થાને ઉષાબેન નાનુભાઈ પટેલ તેમજ ઉજ્જ્વલાબેન રહ્યા હતા, જેમને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ ઇનામ અપાયું હતું. શિવ વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ આવનાર સૌને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા. શૈલાબેન દમણ તરફથી દરેક સ્પર્ધકોને સ્મૃતિભેટ રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.