આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છેઃ મંત્રી નરેશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની સિધ્ધિઓની ઉદ્ઘોષણા કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ અવસરે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે. રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ અમલી બનાવી છે. નવસારી જિલ્લામાં રૂ.60 કરોડના ખર્ચે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમમાં 100 ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના 394 ગામોમાં ઘરે ઘરે પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પાણી વગર વિકાસ શકય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજય બનાવવા ગુજરાતે પાણીના સ્રોત ઉભાકરીને છેવાડાના માનવી સુધી પીવાના પાણી પહોંચાડવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન નલ સે જલ સિધ્ધિ પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, શાસકપક્ષના નેતાશ્રી શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.