બસ રોડના ખાડામાં પટકાતા સ્ટેયરીંગ ફેલ થતા બસ પલટી મારી ગઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: ચોમાસા દરમિયાન બેહાલ થયેલા, તૂટી ગયેલા રોડનું ચોમાસુ વિત્યા છતાં વહીવટી તંત્ર મરામતની કામગીરી કરી શકેલ નથી. પરિણામે અવારનવાર રોડના ખાડાઓમાં પટકાતા વાહનોના રોજેરોજ અકસ્માત થઈ રહ્યા છે તેવો વધુ એક અકસ્માત આજે બુધવારે સવારે 6 વાગ્યાના સુમારે વાપી-નાસિક રોડ અંભેટી સામે સર્જાયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસ.ટી. મોટા ખાડામાં બસ પટકાતા સ્ટેયરીંગ ફેઈલ થતાં બસ ફંગોળાઈને પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં બેઠેલા 35 જેટલામુસાફરો ચીસાચીસ-બુમાબુમ કરી દીધી હતી. અંતે ઈમરજન્સી બારીનો કાંચ તોડી મુસાફરોને બહાર કઢાયા હતા.
વાપી થી નાસિક જતી મહારાષ્ટ્ર પરિવહનની એસ.ટી. બસમાં અંભેટીમાં સર્જાયેલા અકસ્માતમાં આઠથી દશ મુસાફરો ઘાયલ થતા નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 દ્વારા નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડયા હતા. અકસ્માત બાદ એકઠા થયેલા સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત કરી બહાર કાઢી સાંત્વના આપી હતી. અકસ્માતની ગંભીરતા જોતા સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

