દાનહમાં ત્રણ હજારથી વધુ ઔદ્યોગિક એકમ આવેલ છે જેમાંથી કેન્દ્ર સરકારને અંદાજીત રૂા. પાંચ હજાર કરોડથી વધુ ટેક્સ ચૂકવવા છતાં સુવ્યસ્થિત સુવિધા નહીં મળવાથી પ્રદેશનીજનતા, ઔદ્યોગિક એકમોના સંચાલકોમાં વ્યાપેલી નારાજગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખરડપાડા પંચાયતના લુહારી ગામ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હોવાને કારણે ઔદ્યોગિક એકમના સંચાલકોમાં તથા રોજીંદી આવન-જાવન કરનારા લોકોમાં ભારે આક્રોશ સાથે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેનું પ્રશાસન દ્વારા સમારકામ પણ નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરડપાડા પંચાયતના લુહારી ગામ તરફ જતા રસ્તા પર મોટા મોટા ખાડાઓ છે જેને અગાઉ પંચાયત સભ્યોએ ઔદ્યોગિક એકમના સહયોગ દ્વારા પુરવામાં આવ્યા હતા, પરંતુ વારંવાર વરસાદ પડવાને કારણે ખાડાઓની હાલત જૈસે થે જોવા મળી રહી છે.
ઔદ્યોગિક એકમના સંચાલકોના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીમાં ત્રણ હજારથી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે અને કેન્દ્ર સરકારને અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચુકવવામાં આવે છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પડે છે. તેથી પ્રશ્ન એ થાય છે કે ટેક્સના રૂપિયા જાય છે ક્યાં? હાલમાં જે રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ છે જેના કારણે ટ્રાન્સપોર્ટરો પણ વાહનોમોકલાવવામાં આનાકાની કરી રહ્યા છે અને જો વાહનો મોકલાવે તો ડબ્બલ ભાડું વસૂલવામાં આવે છે. હાલમાં રસ્તાઓ પર ત્રણથી ચાર ફૂટના ખાડાઓ છે જેના કારણે વાહનો પણ ખખડધજ બની રહ્યા છે જેની જેના નુકસાનની ભરપાઈ કોણ કરશે?
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જો પ્રશાસન દ્વારા આ રસ્તાઓનુ સમારકામ નહીં કરવામાં આવશે તો ઔદ્યોગિક એકમના માલિકો આંદોલનના માર્ગે જશે એમાં કોઈ સંદેહ નથી.
પ્રદેશના જર્જરિત રસ્તાઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કલેક્ટરથી લઈ લાગતા વળગતા વિભાગોને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ પ્રશાસન દ્વારા આંતરિક રસ્તાઓ પ્રત્યે લક્ષ આપવામાં આવી રહ્યું હોવાનું જણાતું નથી.