સંઘપ્રદેશ પ્રશાસનમાં પટાવાળાથી શરૂ કરી યુડીસી તરીકે 40 વર્ષ સુધી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરી સેવા નિવૃત્ત થયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03: સંઘપ્રદેશ પ્રશાસનમાં 40 વર્ષની સુદીર્ઘનોકરી પટાવાળા(પ્યુન)થી શરૂ કરી છેલ્લે અપર ડિવીઝન ક્લાર્ક (યુડીસી) તરીકે વયમર્યાદાના કારણે શ્રી અમ્રતભાઈ હળપતિ નિવૃત્ત થતાં તેમને સ્ટાફ દ્વારા સ્નેહાળ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આજથી બરાબર 40 વર્ષ પહેલાં ગોવા ખાતે નગરપાલિકા નિર્દેશાલયમાં એક પટાવાળા તરીકે પોતાની નોકરીની શરૂઆત કરનારા 9મું ધોરણ ભણેલા શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાની લગન, નિષ્ઠા અને કર્મઠતાથી ફરજ બજાવવાની સાથે અભ્યાસ કરી એસ.એસ.સી. પણ પાસ થયા હતા.
ગોવાથી દમણ અને દીવમાં સીટી સર્વે ઓફિસ, બીડીઓ, કોલેજ અને છેલ્લે વેટરનરી ઓફિસ ખાતે યુડીસી તરીકે ફરજ બજાવતા તેઓ ગત તા.31મી ઓક્ટોબરે વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયા હતા. સેવા નિવૃત્તિના સમયે વેટરનરી ઓફિસના ઈન્ચાર્જ ડો. વિજયસિંહ પરમાર તથા સ્ટાફે તેમને ખુબ જ ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું અને તેમણે બજાવેલી નિષ્ઠાપૂર્વકની ફરજને યાદ કરાઈ હતી.
શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાના નિવૃત્તિ બાદનો સમય દમણના આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા પસાર કરવાના હોવાનું ‘વર્તમાન પ્રવાહ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.