(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.03
ઉમરગામ તાલુકા પંચાયતના સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્ય શ્રી સહદેવભાઈ વઘાતે આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને સભ્યપદ પરથી દૂર થવા રાજીનામુ આપ્યું છે.
શ્રી સહદેવભાઈ વધાતે તાજેતરમાં યોજાયેલી સરીગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી છે. ગુજરાત પંચાયત ધારાની કલમ 29 (3) મુજબ શ્રી સહદેવભાઈ વઘાતે કોઈપણ એક હોદ્દાનો ફરજીયાત ત્યાગ કરવો જરૂરી છે. જેથી આજરોજ સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા શ્રી રાકેશભાઈ રાય અને સરપંચની ચૂંટણીમાં જીત મેળવવામાં અહમ ભૂમિકા ભજવનાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી વિનોદભાઈ ઠાકોરની ઉપસ્થિતિ સાથે શ્રી સહદેવભાઈ વધાતે તાલુકા પંચાયત સભ્યપદ ઉપરથી રાજીનામું આપ્યું હતું.
શ્રી સહદેવભાઈ વધાત તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસના પ્રતીક ઉપર જીતી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં માત્ર બે બેઠક પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો. જેમાંથી આજરોજ એક સભ્યએ રાજીનામુ આપતા હવે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની એક બેઠક રહી જવા પામી છે.
શ્રી સહદેવભાઈ વધાતે આપેલા રાજીનામાની જાણકારી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરશ્રી વલસાડ અને તલાટી કમમંત્રીશ્રી સરીગામને કરી દેવામાં આવી છે.