પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડના અદ્યતનીકરણના કાર્યક્રમ હેઠળ પુનઃ સર્વેક્ષણમાં જમીનની માપણી નવી રીતે કરી જીઆઈએસ આધારિત તૈયાર કરાનારા નકશા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા પ્રશાસન દ્વારા જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્ય માટે પરિયારી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે પરિયારી કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજીત ગ્રામસભામાં ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, સર્વે અને સેટલમેન્ટ અધિકારી અને મામલતદાર શ્રી સાગર ઠક્કર, વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણા, સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી ઈશુબેન પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ગ્રામસભામાં ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાએજમીનના પુનઃ સર્વેક્ષણની બાબતમાં દરેકને માહિતી આપી જમીનના પુનઃ સર્વેક્ષણના ઉદ્દેશ અને તેના લાભની જાણકારી બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સર્વેક્ષણ માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને તેમણે આ કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસનને આ પ્રક્રિયા સમયમર્યાદામાં અને પારદર્શકતા સાથે પૂર્ણ કરવા જરૂરી માહિતી પ્રદાન કરવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોર્ટુગલ શાસન બાદ પહેલી વખત જમીનનું સર્વેક્ષણ 1970-’72માં થયું હતું. જે જૂની પદ્ધતિથી કરાયું હતું. આ કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન મુજબ ભારત સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડના અદ્યતનીકરણના કાર્યક્રમ હેઠળ આ પુનઃ સર્વેક્ષણમાં જમીનની માપણી નવી રીતે કરી જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા નિરંતર પ્રયાસ રહ્યો છે કે, આ પ્રદેશની જનતાને દરેક સરકારી સુવિધાઓ અદ્યતન ટેક્નોલોજીના માધ્યમના ઉપયોગથી આપવામાં આવે જેનું પ્રતિબિંબ પણ આ કાર્યક્રમમાં પડી રહ્યું છે.