-
દાનહમાં ગેસનું કનેક્શન નહીં ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સામેલ કરવા શરૂ થયેલી કાર્યવાહી
-
સંઘપ્રદેશના ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના સચિવ એસ. અસકર અલીની અધ્યક્ષતામાં દાનહના 40 વ્યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકો જોડે યોજાયેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના સચિવ શ્રી એસ.અસકર અલીની અધ્યક્ષતામાં દાદરા નગર હવેલીના સરકારી વ્યાજબી ભાવની (કંટ્રોલ) દુકાનોના માલિક-સંચાલકો જોડે દમણગંગા સરકિટ હાઉસ, સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં દાનહની 40 કંટ્રોલના માલિક-સંચાલકો હાજર રહ્યા હતા.
બેઠકમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા તેમને ફાળવવામાં આવેલ અનાજનો માસિક ક્વોટો છેલ્લા 6 મહિનાથી ઉપાડી નહીં રહ્યા હોવાથી વધેલું અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને પરત આપવામાં આવી રહ્યું હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. જે બાબતે ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના સચિવ શ્રી એસ. અસકરે લાભાર્થીઓને દર મહિને અનાજનો ક્વોટો ઉપાડવા માટે પ્રેરિત કરવા ભાર આપ્યો હતો અને લાભાર્થી દ્વારા વ્યક્તિગત રીતે અનાજ નહીં ઉપાડવા માટેનું કારણ લેખિતમાં પૂછવા તે મુજબનીકાર્યવાહી કરવા પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.
દાદરા નગર હવેલી ખાતે એલ.પી.જી. કનેક્શન નહીં ધરાવતા લાભાર્થીઓની ઓળખ કરવા અને તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન આપવા માટે પ્રસ્તાવ રજૂ કરવા ખાદ્ય અને સિવિલ સપ્લાય વિભાગ તેમજ સરકારી વ્યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકોને સચિવશ્રીએ નિર્દેશ આપ્યો હતો.