-
આરોપીઓ કચીગામના દિનેશ બાર અને હોટલમાં વેઈટર તરીકેનોકરી કરતા હતા
-
દારૂનો ધંધો કરતી એક મહિલાને રાત્રે ઝૂંપડીમાં લઈ જતા મૃતકે જોતાં બારના માલિકને ફરિયાદ કરશે એ ડરથી કરેલી હત્યા…?!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન અંતર્ગત કચીગામ ખાતે થયેલ હત્યાના ગુનામાં પોલીસે 4 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. દમણ કોર્ટે 3 આરોપીઓને 21મી ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પણ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.31મી જાન્યુઆરી, 2023ના રોજ કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણને એક માહિતી મળી હતી કે, કચીગામ-વાપી રોડ ખાતે બકુલ દેસાઈની વાડીમાં એક અજાણ્યો વ્યક્તિ બેહોશ હાલતમાં પાણીમાં પડેલ છે. માહિતી મળતાં જ કચીગામ આઉટ પોસ્ટના સ્ટાફે દર્શાવેલ જગ્યા ઉપર પહોંચી ત્યાં એક વ્યક્તિના શરીર ઉપર ગંભીર ઘાના નિશાન હતા અને તેનું મોત થઈ ચુક્યુ હતું. ત્યારબાદ ફોરેન્સિક ટીમને સ્થળ ઉપર બોલાવી જગ્યાનું નિરીક્ષણ કરાવ્યું. ત્યારબાદ આ હત્યાનો કેસ હોવાનું દેખાયું હતું.
એસ.પી. શ્રી અમિત શર્મા અને એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયાના દિશા-નિર્દેશ હેઠળ કોસ્ટલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાની ટીમે આઈ.પી.સી.નં. 302 અંતર્ગત નોંધાયેલાગુનાને ઉકેલવા કવાયત શરૂ કરી હતી.
શરૂઆતના સમયમાં મૃતક વ્યક્તિની ઓળખ માટે દમણ અને વાપી વિસ્તારમાં અલગ અલગ ટીમને મોકલવામાં આવી હતી. ત્યારબાદ મૃત વ્યક્તિની ઓળખ ગૌરીશંકર પિલ્લઈ રહે. ઓરિસ્સા તરીકે થઈ હતી. ત્યારબાદ પુરી વાડીમાં કેસ સંબંધિત સબૂતની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકના મળેલા મોબાઈલ નંબરની સીડીઆર કાઢવામાં આવી અને મૃતકના સંપર્કમાં રહેલ એક વ્યક્તિની સખ્તીથી પૂછપરછ કરવામાં આવી. કચીગામ વિસ્તારના જુદા જુદા સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેનું ઊંડાણથી વિશ્લેષણ કરાવ્યું ત્યારબાદ પણ આ ઘટનામાં કોઈ ખાસ કડી હાથ નહીં લાગી હતી.
11મી ફેબ્રુઆરીએ પોલીસને પોતાના બાતમીદારથી ખાસ માહિતી પ્રાપ્ત થઈ કે, કચીગામ-વાપી રોડ ઉપર આવેલ દિનેશ બાર અને હોટલના 4 વેઈટરો ઘટનાની રાત્રિએ ઘટના સ્થળના આજુબાજુ જોવા મળ્યા હતા અને તેઓ તે રાત્રે જ નોકરી છોડીને ચાલી ગયા હતા. આ પ્રકારની માહિતીની પરખ માટે દિનેશ બાર અને તે રોડ ઉપર બનેલ એક ગાળાના સીસીટીવીનું ફરી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 4 સંદિગ્ધ વ્યક્તિઓ મધરાત્રિએ વાડીની તરફ જતા અને થોડા સમય પછી પરત આવતા દેખાયા હતા. ત્યારબાદ દિનેશ બારથી આ ચારેયની જાણકારી કાઢવામાં આવી હતી.ત્યારબાદ જાણવા મળ્યું કે, હવે ચારેય મુંબઈના કોઈ ક્ષેત્રમાં રહે છે.
ઉપરોક્ત તપાસના આધાર ઉપર એસ.પી.શ્રી અમિત શર્માના દિશા-નિર્દેશો અનુસાર એક ટીમને મુંબઈ મોકલવામાં આવી હતી. જેમણે ઘણી મહેનત બાદ ચારેય આરોપીઓને બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશનથી હિરાસતમાં લઈ દમણ લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછમાં ચારેય આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. ચાર આરોપીઓમાં (1)મોહમ્મદ સાહિલ ઉર્ફે લક્કી(ઉ.વ.18) રહે. નાલાસોપારા-મુંબઈ (2)ભરત રમેશ રાઠોડ (ઉ.વ.20) રહે.વિઠ્ઠલવાડી ગોપાલ સમાજ ઈસ્ટ કલ્યાણ (3)શાહનવાઝ ઉર્ફે અરબાઝ અબ્દુલ કલામ (ઉ.વ.22) રહે. રામનગર રોડ, મામા હોટલ ભિવંડી અને એક સગીર વ્યક્તિનો સમાવેશ થાય છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે દારૂના ધંધો કરનારી એક મહિલાને બાજુની ઝૂંપડીમાં લઈ ગયા હતા તે દરમિયાન મૃતકે ચારેય આરોપીઓને જોઈ લીધા હતા. તેથી ચારેય આરોપીઓને એ વાતનો ડર લાગ્યો હતો કે તેમના શેઠ એટલે કે, દિનેશ બારના માલિકને મૃતક બતાવી દેશે. આ ભયના કારણે ચારેય આરોપીઓએ પથ્થર, હાથમાં પહેરેલા કડાં તથા ચાકુથી મૃતકની હત્યા કરી ઝૂંપડીની પાછળ પાણીના ખાડામાં ફેંકી દીધો હતો. ત્રણેય આરોપીઓને કોર્ટે 21મી ફેબ્રુઆરી સુધી પોલીસરિમાન્ડ મંજૂર કર્યા છે.