સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્તિકરણ અભિયાનના વિસ્તારકધર્મેશસિંહ ચૌહાણે છેલ્લા 60 વર્ષમાં નહીં થઈ શક્યા તે તમામ કામો 6 વર્ષમાં પૂર્ણ થતાં આ તમામ ઉપલબ્ધિઓ જન જન સુધી પહોંચાડવાનું કર્તવ્ય નિભાવવા બૂથ સમિતિના સભ્યોને કરેલી હાકલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: સેલવાસના અટલ ભવન ખાતે દાનહ ભાજપના બૂથ સશક્તિકરણ કાર્યક્રમના આયોજન માટે એક બેઠક મળી હતી. જેમાં સેલવાસ ગ્રામીણ મંડળના મંડળ અધ્યક્ષો, મંડળના પદાધિકારીઓ, બૂથ કમીટિના સભ્યો, પ્રદેશ-જિલ્લાના પદાધિકારીઓ, દરેક મોર્ચાના પદાધિકારીઓ, દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા બૂથ સશક્તિકરણ અભિયાનના પ્રભારી શ્રી પ્રદિપસિંહ વાઘેલાના દિશા-નિર્દેશ અંતર્ગત પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર અને સંયોજક શ્રી મહેશભાઈ ગાવિતની સલાહ મુજબ આજે બૂથ સશક્તિકરણ અભિયાન સેલવાસ જિલ્લા ગ્રામીણના વિસ્તારક શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્વમાં 10 મંડળોના બૂથ સશક્તિકરણ અભિયાન કાર્યક્રમની એક બેઠકનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.
અગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંગઠનના માધ્યમથી દરેક બૂથની સુચારૂ કમીટિ બનાવવા અને સંગઠનને વધુ ગતિ આપવા બૂથ સશક્તિકરણઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાનહની જનતાને ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિવિધ જન કલ્યાણકારી કામોની જાણકારી પહોંચાડવી વિવિધ યોજનાઓના લાભાર્થી સુધી પહોંચવાનું માઈક્રો લેવલનું આયોજન બૂથ સશક્તિકરણ અભિયાન દ્વારા શરૂ કરાયું છે.
આ પ્રસંગે સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના બૂથ સશક્તિકરણ અભિયાનના વિસ્તારક અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને પ્રદેશમાં થઈ રહેલો સર્વાંગી વિકાસ અગામી ચૂંટણી જીતવા માટે મજબૂત પરિબળ છે. પ્રદેશમાં જે રીતે પ્રશાસન દ્વારા શરૂ કરાયેલ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના કારણે જે વિકાસના કામો છેલ્લા 60 વર્ષમાં નથી થઈ શક્યા તે તમામ કામો 6 વર્ષમાં પૂર્ણ થયા છે. આ તમામ ઉપલબ્ધિઓ જન જન સુધી પહોંચાડવાનું કર્તવ્ય નિભાવવા શ્રી ધર્મેશસિંહ ચૌહાણે બૂથ સમિતિના સભ્યોને હાકલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી અને બૂથ સશક્તિકરણના સંયોજક શ્રી મહેશ ગાવિત, પ્રદેશ ઉપ પ્રમુખ અને એસ.ટી. મોર્ચાના પ્રભારી શ્રી હિતેશ લાડ, સેલવાસ જિલ્લા ગ્રામીણ પ્રમુખ શ્રી રાજેશ વરઠા, મહામંત્રી શ્રી રાજેશ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી સીતારામભાઈ ગવળી, દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન સહિત ભાજપનાકાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.