નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓએ પૂજા દર્શનનો લાભ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી તા.05: અમદાવાદમાં જાસપુર એસ.જી. હાઈવે ઉપર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું મંદિર પ્રસ્થાપિત થઈ રહ્યું છે. 1 હજાર કરોડના ખર્ચે મંદિર સાથે સમાજ ઉથ્થાન માટે વિવિધ પ્રકલ્પ 100 એકર જમીન મંદિર સાથે આકાર લઈ રહ્યા છે. જેના પ્રચાર પ્રસાર માટે માઁ ઉમિયા નો દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આજે સોમવારે વાપીમાં દિવ્ય રથનું આગમન થયું હતું.
વાપી છરવાડા રોડ ઉપર દિવ્ય રથનું સ્વાગત કરવામાં આવ્યુહતું. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના પાટીદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. માથે કુંભ, કળશ, ઝવેરા સાથે એક સરખી સાડી પરિધાનમાં સજ્જ બની માઁ નો જય જય કાર કર્યો હતો. છરવાડા ઉમિયા ચોકમાં દિવ્ય રથમાં બિરાજમાન થયેલા જગત જનની માઁ ઉમિયાની પૂજા-અર્ચના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ કરી હતી. ઉમિયા ચોકમાં ભવ્ય પુષ્પવર્ષા સાથે સાથે સમાજની બહેનો ગરબે ઘૂમી હતી. ત્યાર બાદ દિવ્ય રથની શહેર પરિક્રમાનો શુભારંભ થયો હતો. ગુંજન સહિત ચણોદ કોલોની સુધીના વિસ્તારમાં દિવ્ય રથ પરિભ્રમણ કરીને રાત્રે રોફેલ કોલેજમાં રાત્રી વિરામ અને સાંસ્કળતિક રાસ ગરબા સહિત મહાપ્રસાદનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. બીજા દિવસે તા.6 મંગળવારે દિવ્યરથ વાપી ટાઉનના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરશે તેમજ રાત્રિ વિરામ બાદ બુધવારે ધરમપુર જવા પ્રસ્થાન કરશે. વાપી ઉમિયા પરિવારના સર્વે શ્રી નરેન્દ્રભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, નયનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ વગરે ઉપસ્થિત રહ્યા હતા.