(ભાગ-4)
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે તત્કાલિન ગોવાના રાજ્યપાલ ડો. ગોપાલ સિંઘે દમણ-દીવ અને દાનહમાં રેડક્રોસ સોસાયટી, બાલ ભવન જેવી સંસ્થાઓમાં પોતાના ગોઠવેલા પ્યાદા
ભારત સરકારે ગોવાના રાજ્યપાલ પદેથી હટાવી તેમના સ્થાને શ્રી ખુર્શીદ આલમ ખાનની 18મી જુલાઈ, 1989ના રોજ કરેલી વરણી સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસનિક સૂર બદલાવાની શરૂઆત થઈ ચુકી હતી. ગોવાના તત્કાલિન રાજ્યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક તરીકે ડો. ગોપાલ સિંઘે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પોતાના પ્યાદા ગોઠવ્યા હતા. કોઈકને રેડક્રોસ સોસાયટી તો કોઈકને બાલ ભવનમાં સેટ કર્યા હતા. તેનાથી વિપરીત શ્રી ખુર્શીદ આલમ ખાનનો વહીવટ નીતિ-નિયમો મુજબ અને થોડાઅંશે પારદર્શક રહ્યો હતો.
દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘાની શરૂઆત પણ સપ્ટેમ્બર, 1989થી થઈ ચુકી હતી અને ઓક્ટોબર મહિનામાં પ્રદેશના મુખ્ય સચિવ પદેથી શ્રી આર.પી.રાયની બદલીનો આદેશ પણ થયો હતો. તેમના સ્થાને આઈ.એ.એસ. અધિકારી શ્રી કે.એમ.સાહનીની નિયુક્તિ કરવામાં આવી હતી.
નવેમ્બર, 1989માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવ અનેદાદરા નગર હવેલી બંને બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. દમણ-દીવથી શ્રી દેવજીભાઈ ટંડેલ અને દાદરા નગર હવેલી બેઠક ઉપરથી શ્રી મોહનભાઈ ડેલકરની રાજકીય ઈનિંગનો આરંભ થયો હતો.
કેન્દ્રમાં સ્થિર સરકાર નહીં હોવાના કારણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના બંને સાંસદોએ સત્તા પક્ષને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે પ્રદેશમાં બંને સાંસદોના દબદબામાં પણ વધારો થયો હતો. દમણ-દીવના તે સમયના સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલ પોતાની પ્રમાણિકતાની છબી જાળવી રાખવા કોશિષ કરતા રહ્યા જ્યારે દાદરા નગર હવેલીના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરે કેન્દ્ર સરકાર ઉપર દબાણની રાજનીતિ અપનાવી સુગર ફેક્ટરીના સૂચિત પ્રોજેક્ટની જગ્યા અન્યત્ર ખસેડવા સફળ રહ્યા હતા. આ દૌરમાં દાદરા નગર હવેલીના ભૂમિહીન આદિવાસીઓ માટે સરકારી પ્લોટની ફાળવણી કરવાનો પણ મોટો તખ્તો ઘડાયો હતો. જેનો ફાયદો રાજકારણીઓ અને લેન્ડમાફિયાઓએ 1991 બાદ લેવાની શરૂઆત કરી હતી.
1989માં થયેલી ચૂંટણી બાદ બનેલી સરકારનું પતન થતાં 1991માં મધ્યવર્તી ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજીવ ગાંધીની હત્યાના પગલે પૈદા થયેલ સહાનુભૂતિની લહેરના કારણે કોંગ્રેસને બહુમતિ મળી હતી અને દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરસિંહ રાવે પોતાની જવાબદારીસંભાળી હતી.
1991ની સંસદીય ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપરથી પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે શ્રી દેવજીભાઈ ટંડેલનો ફરી વખત પ્રચંડ વિજય થયો હતો અને દાદરા નગર હવેલી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી મોહનભાઈ ડેલકરે બીજી વખત દિલ્હી સર કર્યું હતું.
ભારત સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી તરીકે વલસાડના સાંસદ શ્રી ઉત્તમભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને 1991-’92માં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સ્થપાતા ઉદ્યોગો માટે ટેક્સ હોલીડેની કરેલી જાહેરાત બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્ટ્રીય સ્તરે ચમકતું થયું હતું અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીની શરૂઆત પણ થઈ હતી. (ક્રમશઃ)