(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવના વર્ષ 2023-24 શાળાના નવા સત્રની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિને થતા સાથે જ શિક્ષકો દ્વારા બાળકોને તિલક કરી આવકારવામાં આવ્યા હતા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ઉપર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય દ્વારા સભામાં પૂરુ વિશ્વ પ્રદૂષણ મુક્ત બને, પ્લાસ્ટિક મુક્ત બને એ માટે તેમજ આપણે રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણની આદતો અપનાવવાની હાંકલ કરી હતી. પોસ્ટર સ્પર્ધામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ સરસ મજાના પોસ્ટરો બનાવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને મે. ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય ડાયરેક્ટર શ્રી ડો. શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળાના પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.