વૃંદાવનએપાર્ટમેન્ટની જર્જરીત હાલત થતા પાલિકા
પાંચ વર્ષથી નોટિસ આપતી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ શહેરમાં અનેક જર્જરીત મકાન-એપાર્ટમેન્ટ જોખમી બની રહ્યા છે. વખતો વખત પાલિકા દ્વારા નોટિસો અપાઈ છે. છતાં સ્થિતિ યથાવત રહી છે. પરિણામે રવિવારે રાત્રે તિથલ રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટ સ્લેબ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ તિથલ રોડ ઉપર આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટનો સ્લેબ રવિવારે રાતે 9 વાગ્યાના સુમારે ધરાશાયી થયો હતો. એપાર્ટમેન્ટ નીચે આવેલ બે દુકાનદારો ફસાયા હતા. ઘટનાની જાણ બાદ પાલિકા ટીમ, ફાયર, સિટી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવી પહોંચ્યા હતા. તાત્કાલિક એસ.ડી.આર.એફ.ની ટીમને જાણ કરાઈ હતી. કારણ કે અત્યારે તે વલસાડમાં છે. એસ.ડી.આર.એફ. ટીમ અને સ્થાનિકોએ ફસાયેલ બે દુકાનદારોને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢયા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે અતિશય વરસાદ પડી રહ્યો છે ત્યારે શહેરમાં આવેલ જર્જરીત ઈમારત-મકાન સામે ખતરો છે. કંઈક તેવી સ્થિતિ વૃંદાવન એપાર્ટમેન્ટની થઈ છે. આ એપાર્ટમેન્ટને પાલિકા પાંચ વર્ષથી નોટિસ આપે છે. પરંતુ તેને પાડવામાં નથી આવતા. ગઈકાલ રાતની દુર્ઘટના બાદ પાલિકાએ નક્કી કર્યું છે કે હવે ડિમોલેશનકરી દેવાશે.