તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા સ્વયં નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટીએ દાનહના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગને કરેલી લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસનના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી વિભાગ દ્વારા સંચાલિત સેલવાસ ટાઉન ખાતેના ‘કલા કેન્દ્ર’માં વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેથી અહીં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓનો હલ લાવવા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી દ્વારા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ‘કલા કેન્દ્ર’ની લિફટ છ મહિનાથી વારંવાર બંધ થઈ રહી છે, જેના કારણે ખાસ કરીને સિનિયર સીટીઝનોને ઉપર જવા-આવવામાં ભારે તકલીફો પડી રહી છે. કારણ કે, ત્રીજા માળે લાઈબ્રેરી આવેલી છે આલાઈબ્રેરીમાં વાંચન માટે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનો મોટા ભાગે આવતા હોય છે. ઉપરાંત આ લાઈબ્રેરીમાં આવતા લોકો માટે પીવાના પાણીની પણ કોઈ જ સગવડ નથી. સાથે લાઈબ્રેરીમાં નવા એર કન્ડીશનર(એ.સી.) લગાવવામાં આવેલ છે એ પણ કામ કરતા નથી અને બંધ હાલતમાં છે જેના કારણે લાઈબ્રેરીમાં વાંચન માટે આવતા સિનિયર સીટીઝનો તથા વિદ્યાર્થીઓ સહિતનાઓને ગરમીનો માર સહન કરવા પડી રહ્યો છે.
જેથી આ કલા કેન્દ્રમાં પડતી નાની-મોટી તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને સમય સમય પર તમામ પ્રકારની દેખરેખ અને સારસંભાળ રાખવામાં આવે એમ સંચાલકોને લેખિત ફરિયાદમાં જણાવાયું છે.