ટ્રાન્સપોર્ટની કચેરીમાં રહેતા શ્રમિકો વચ્ચે નજવી બાબતે થયેલા ઝઘડામાં પથ્થર વડે માથાના ભાગે હુમલો કરતા એકનું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: ઉમરગામ નવી જીઆઈડીસી સ્થિત નંદવાના ટ્રાન્સપોર્ટ કચેરીના ઓટલા ઉપર ગતરોજ હત્યા સાથે એક ગંભીર રીતે ઈજાગ્રસ્તના હુમલાની ઘટના બનવા પામી હતી. ઘટના રાત્રિના 11 કલાકના અરસા બાદ બનવા પામી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ નવી જીઆઈડીસીમાં કાર્યરત નંદવાના ટ્રાન્સપોર્ટ કચેરીમાં કામ કરતાં શ્રમિકો વચ્ચે નજીવી બાબતે ગતરોજ રાત્રિના સમયે ઝઘડો થયો હતો. શ્રમિક તરીકે કામ કરતા ઉમેશકુમાર સાકિયા, વિનોદકુમાર દુર્ગા પ્રસાદ સાકિયા અને આરોપી પવન કુમાર રામસ્વરૂપ સાકિયા તમામ રહે.હાલ નંદવાના ટ્રાન્સપોર્ટ કચેરી અને મૂળ યુપી વચ્ચે રસોઈ બનાવવાની બાબતે તકરાર થવા પામી હતી. છેલ્લા બે દિવસથી આરોપી પવન રામસ્વરૂપ સાકિયા રસોઈ ન બનાવતા સાથી કામદારો તકરાર કરી રહ્યા હતા જેના કારણે આરોપી ત્યાંથી એમના સંબંધી સુભાષના ત્યાં ચાલી ગયો હતો અને રાત્રી દરમિયાન ફરી ઘટના સ્થળેઆવી ઓટલા ઉપર સુતેલા હત્યાનો ભોગ બનનાર વિનોદ કુમાર સાકિયા અને ઉમેશ કુમાર સાકિયા પર મોટા પથ્થર વડે જીવણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં વિનોદ કુમાર શકયનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. જ્યારે ઉમેશકુમાર સાકિયાને ગંભીર ઈજા પહોંચવા પામી હતી. ઘટનાની જાણથી ઉમરગામ પોલીસ ઘટના સ્થળે ઘસી આવી હતી. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ઉમેશ કુમાર સાકિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. જેમાં નંદવાના ટ્રાન્સપોર્ટ કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતા સમગ્ર ઘટનાનુ ચિત્ર સામે આવી જવા પામ્યું છે. આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ ભાગી છૂટયો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ શ્રમિકો લોડીંગ અને અંડરોડિંગની કામગીરી કરતા હતા જેમાં હત્યાનો ભોગ બનનાર વિનોદ કુમાર સાકિયા અન્ય જગ્યાએ ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો જે રાત્રિ દરમિયાન સુવા માટે નંદવાના ટ્રાન્સપોર્ટની કચેરીએ આવતો હતો. આ ઘટનામાં પોલીસ તંત્રએ હત્યાનું ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.