પ્રદેશના અન્ય વિસ્તારમાં રખડતા પશુઓને પણ ગૌશાળાઓમાં એકત્ર કરવામાં આવે તો તેમના કારણે રસ્તા ઉપર થતાં અકસ્માતોથી બચી શકાય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના નરોલી પંચાયતમાં ગત અઠવાડિયે એક અકસ્માતમાં ચાર ગાયોના મોત થયા હતા અને ત્રણ ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ જ રીતે વારંવાર અકસ્માતો થતા હોવાને કારણે પંચાયતના સભ્યો દ્વારા નક્કી કરાયું કે ગામમાં જેટલા પણ રખડતાગાય-વાછરડાં, બળદ, ભેંસ-પાડા વગેરે છે એને ડોકમરડી સેલવાસ ખાતેની ગૌશાળામાં લઈ જવામાં આવે જેથી પંચાયત સભ્ય શ્રી યોગેશ સોલંકી અને એમની ટીમ, પંચાયતના કર્મચારીઓ સાથે ભેગા મળી નરોલીથી પગપાળા 150થી વધુ ગાય-વાછરડાંઓને ડોકમરડી ગૌશાળા સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાંના જવાબદાર અધિકારીઓને મળી ગાયોને સોંપવામાં આવી હતી. આ બાબતે પશુ ચિકિત્સક ડો. વિજયસિંહ પરમારે શ્રી યોગેશ સોલંકીને જણાવ્યું હતું કે આ ગાયોને હાલમાં ચાર દિવસ ખુલ્લી જગ્યા પર રાખવામાં આવશે અને તેઓને કોઈ બીમારી તો નથી ને, તેની ચકાસણી કરવામાં આવશે. સાથે જો કોઈ ગાય-વાછરડાંને લમ્પી વાયરસની અસર હશે તો એને આઈસોલેશનમાં રાખવામાં આવશે.
આ પહેલાં ગ્રામ પંચાયત સભ્ય શ્રી યોગેશ સોલંકી દ્વારા કલેક્ટરને પણ નિવેદન કરવામાં આવ્યું હતું કે પ્રદેશની ગૌશાળામાં સ્ટાફની કમી છે એ માટે તાત્કાલિક જરૂરી સ્ટાફની ભરતી કરવામાં આવે જેથી અહીં આવતા ગૌધનની યોગ્ય જાળવણી કરી શકાય.
બીજી તરફ પ્રદેશના ગૌરક્ષક શ્રી નરેનભાઈ પાલીવાલ અને એમની ટીમના જણાવ્યા અનુસાર નરોલી પંચાયત દ્વારા એકસાથે એકસો પચાસથી વધુ ગાયોને લાવવામાં આવી છે જેઓને હાલમાં ખુલ્લી જગ્યા પર રાખવામાં આવનાર છે અને બે દિવસથી ક્યારેક ક્યારેક વરસાદપણ વરસી રહ્યો છે તો જે પશુઓ આવ્યા છે તેઓના માટે ઘાસચારાની વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે. વરસાદના કારણે ખુલ્લી જગ્યા પર કાદવ કિચ્ચડ પણ જામ્યો છે જેથી આ પશુઓ પ્રત્યે વધુ સારી વ્યવસ્થા કરવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, હાલમાં નરોલી ગ્રામ પંચાયત દ્વારા રસ્તે, ગલીએ, બાગ-બગીચામાં રખડતા પશુઓને એક જગ્યાએ લાવવામાં આવ્યા છે તેવી જ રીતે જો અન્ય વિસ્તારમાં રખડી રહેલા મુંગા પશુઓ પ્રત્યે વ્હાલ દાખવવામાં આવે તો તેમના કારણે થતા અકસ્માતોથી બચી શકાશે.