(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વંકાલમાં મુખ્યમાર્ગથી ગામના પ્રવેશદ્વાર નજીક ખુલ્લી જગ્યામાંથી પસાર થતી બીલીમોરા માઈનોર કેનાલ નડતરરૂપ હોય ઘણા લાંબા સમયથી સ્થાનિકો દ્વારા આ કેનાલને ખુલ્લી જગ્યાવાળી લંબાઈમાં અંદર ગ્રાઉન્ડ કરવાની માંગ કરાઈ રહી હતી.
આ દરમ્યાન વંકાલ – વજીફા ફળીયા ગામના અગ્રણી દીપકભાઈ સોલંકી સાથે પરેશભાઈ સહિતના સ્થાનિક યુવાનો દ્વારા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરી ખુલ્લી જગ્યા વાળા ભાગમાં નહેરને અંદર ગ્રાઉન્ડ કરવાની માંગ કરી હતી. આ ખુલ્લી જગ્યામાં સ્થાનિકો દ્વારા રમત ગમત ઉપરાંત સામાજીક, ધાર્મિક, સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ અવાર નવાર યોજવામાં આવતા હોય નહેર અડચણરૂપ જણાતી હતી. સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત બાદ ગામના અગ્રણી દીપકભાઈ સોલંકી દ્વારા સિંચાઈ વિભાગના ચીખલી સબડિવિઝન નવસારી ડિવિઝન અને સુરત વર્તુળમાં અધિકારીઓ સાથે સતત પરામર્સમાં રહી જરૂરી સંકલન સાધતા એકાદ માસની અંદર જ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલને અંદર ગ્રાઉન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હાલે સિંચાઈ વિભાગ વંકાલ ગામે 145-મીટર જેટલી લંબાઈમાં 16.32 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી પાઇપ નાંખી અંદર ગ્રાઉન્ડ કરવાની કામગીરી નાયબ કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ પટેલ અધિક મદદનીશ ઈજનેર રવિભાઈ સહિતના સ્ટાફની નિગરાણીમાં હાથ ધરવામાં આવી છે. વંકાલ ગામે નહેરને અંદર ગ્રાઉન્ડ કરવાની માંગ ઘણા વર્ષથી હતી. પરંતુ આ કામ માટે દીપકભાઈ સોલંકીએ બીડું ઝડપી અથાગ પ્રયત્ન કરતા અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા પણ રસ દાખવામાં આવતા આખરે સફળતા મળી હતી.