દમણ જિ.પં.ની બાંધકામ શાખાના અધ્યક્ષ રીનાબેન પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ હરિશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરપર્સન વર્ષિકાબેન પટેલ, કડૈયા ગ્રા.પં.ના સરપંચ શંકરભાઈ પટેલ સહિત અનેક લોકોએ લીધેલો શિવકથાનો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: મોટી દમણ મગરવાડાના ભીમ તળાવની તળેટીએ આવેલા દૂધી માતાના મંદિરના પટાંગણમાં પ.પૂ.ભરતભાઈ વ્યાસની શિવકથાના આજે પાંચમા દિવસે તેમણે ૐ નમઃ શિવાયના મંત્રની આપેલી વ્યાખ્યાથી સમગ્ર ભક્તજનો મંત્રમુગ્ધ બન્યા હતા.
પ.પૂ.ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન મહાદેવજીના પાંચ મુખ એ પાંચેય મુખમાંથી એક એક અક્ષર નિકળ્યો તેને પંચાક્ષર ૐ નમઃ શિવાય કહેવાય છે. ભગવાન શિવના નિનાદ ડમરૂમાંથી સંસારનો પહેલો શબ્દ અને અક્ષર ૐ નિકળ્યો જે ૐ નમઃ શિવાય બન્યો. નમઃ શિવાયનો ‘ન’ નરકમાંથી બચાવે છે અને નમ્ર બનાવે છે, ‘મ’ મૃત્યુના ભયને અને મમત્વને હટાવે, તદ્ઉરાંત મહાદેવનો મોક્ષ પ્રાપ્ત કરાયો છે. ‘શિ’મન અને હૃદયને શિતળતા આપે છે, ક્રોધને શાંત કરી મનને શિતળ બનાવી નાંખે છે. ‘વા’ વાણીને પવિત્ર કરે છે અને હાય હાય છોડાવીને હરિ હરિ ઉચ્ચારણ કરી કલ્યાણ કરી નાંખે છે. ‘ય’ અનેક યજ્ઞનું ફળ અપાવે છે અને યમરાજથી બચાવી શિવલોક પ્રાપ્ત કરાવે છે.
પ.પૂ.શ્રી ભરતભાઈ વ્યાસે ભગવાન મહાદેવના અર્ધનારેશ્વર, નંદી, કાચબો, શેષનાગ, જલધારા, ડમરૂ, ત્રિશૂળ વગેરેનું પણ શાષાોક્ત મહત્વ જણાવી શ્રોતાઓને શિવમય કરી દીધા હતા.
દમણ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના ચેરપર્સન શ્રીમતી રીનાબેન પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષિકાબેન પટેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ વગેરેએ પણ આજે શિવકથાનો લાભ લીધો હતો.