આજે ‘વર્તમાન પ્રવાહ’ પોતાની સ્થાપનાના 19મા વર્ષમાં પ્રવેશતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. 2003ના 19મી ડિસેમ્બરે દમણ અને દીવના મુક્તિ દિનના પર્વથી ‘વર્તમાન પ્રવાહ’નો આરંભ થયો હતો અને 28મી જાન્યુઆરી, 2004ના રોજ તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિનભાઈ પાઠકના હસ્તે લોકાર્પણ થયા બાદ આજ દિન સુધી વર્તમાન પ્રવાહે પોતાની મક્કમ અને આગવી ગતિ જાળવી રાખી છે.
‘વર્તમાન પ્રવાહે’ પોતાની સ્થાપનાના 19 વર્ષોમાં ક્યારેય બિઝનેશનો અભિગમ અપનાવ્યો નથી. જાહેરાત અખબારોની જીવાદોરી હોવા છતાં ‘વર્તમાન પ્રવાહે’ જાહેરાતલક્ષી પોતાની નીતિ આજપર્યંત રાખી નથી. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગોની વણઝાર હોવા છતાં ‘વર્તમાન પ્રવાહે’ પોતે દોરેલી લક્ષ્મણરેખાની બહાર જવાનું ટાળ્યું છે. સતત વધતી મોંઘવારી અને કાગળ, શાહી, પ્લેટ જેવી અખબાર માટે જરૂરી ચીજવસ્તુઓના કૂદકે ને ભૂસકે વધી રહેલા ભાવ વધારાની સાથે સરકારની સતત બદલાતી જાહેરાત નીતિના કારણે અખબારી ઉદ્યોગની કમર તૂટી ગઈ હોવા છતાં ‘વર્તમાન પ્રવાહ’ હંમેશા પોતાના અખબારી અને પત્રકારત્વના ધર્મને વળગી રહ્યો છે.
જ્યારે જ્યારે પણ પ્રદેશ હિતની વાત આવી છે ત્યારે ત્યારે વર્તમાન પ્રવાહેઅસામાજિક તત્ત્વો અને સ્થાપિત હિતોને ખુલ્લા પાડી તેમને બેનકાબ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. પ્રદેશના પોલીટિકલ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની થયેલી નિયુક્તિ બાદ કેટલાક સ્થાપિત હિતોએ તેમના વિરૂદ્ધ શરૂ કરેલા કુપ્રચારનો યોગ્ય ભાષામાં જવાબ આપવાનું દાયિત્વ પણ ‘વર્તમાન પ્રવાહે’ સફળતાપૂર્વક નિભાવ્યું છે. જેના કારણે જ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસનો ડંકો વાગી રહ્યો છે. અમે હકારાત્મક પત્રકારત્વના કરેલા પ્રયોગની પણ ધારી અસર જોવા મળી છે.
‘વર્તમાન પ્રવાહે’ પોતાની સ્થાપનાના 19 વર્ષ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પોતાની એક આગવી ઓળખ તો ઉભી કરી જ છે અને દક્ષિણ ગુજરાતના નવસારી, ચીખલી, ડાંગ, આહવા તથા વલસાડ જિલ્લામાં પણ લોકોના લાડકવાયા અખબાર તરીકે ‘વર્તમાન પ્રવાહે’ ઘરમાં પ્રવેશ મેળવી લીધો છે. આવતા દિવસોમાં અમારા હજારો સમર્પિત શુભેચ્છકોના આશીર્વાદ અને શુભકામનાથી સંઘપ્રદેશની સાથે સાથે ગુજરાતના સીમાડા પણ સર કરીશું એવી શ્રદ્ધા છે.